27 July, 2026 04:39 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગો ઍરલાઇન્સની એક ફ્લાઈટનું સોમવારે ગુજરાતના રાજકોટ ઍરપોર્ટ પર ઈમરજન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનના કાર્ગો હોલ્ડમાં ધુમાડો દેખાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ ઍરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાએ જણાવ્યું હતું કે વિમાને સુરક્ષિત રીતે લૅન્ડિંગ કર્યું છે અને બધા મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
અહેવાલો અનુસાર, ઇન્ડિગો ફ્લાઈટમાં કુલ 194 મુસાફરો સવાર હતા. વિમાન સુરક્ષિત રીતે લૅન્ડિંગ કર્યા પછી, બધા મુસાફરોને કોઈ ઘટના વિના બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ફ્લાઈટ ક્રૂએ કાર્ગો હોલ્ડમાં ધુમાડો જોયો અને તાત્કાલિક રાજકોટ ઍરપોર્ટનો સંપર્ક કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઍરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી. પ્લેનનો ફ્લાઇટ નંબર IGO1452 છે. તે A321 ઍરક્રાફ્ટ છે.
લૅન્ડિંગ પછી, એક ટૅકનિકલ ટીમે વિમાનનું નિરીક્ષણ શરૂ કર્યું. કાર્ગો હોલ્ડમાં ધુમાડાનું કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. હાલમાં બધા મુસાફરો સુરક્ષિત છે, અને આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. જોકે, આ અંગે હજી સુધી ઇન્ડિગો તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
બૅન્ગલુરુ (Bengaluru)થી અમદાવાદ (Ahmedabad) જઈ રહેલી ઇન્ડિગો (IndiGo)ની એક ફ્લાઇટના શૌચાલયમાં હાથથી લખેલી બૉમ્બની ધમકીવાળી ચિઠ્ઠી મળી આવતાં (Bengaluru Airport Bomb Threat) ગુરુવારે રાત્રે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (Kempegowda International Airport) પર વિમાનના પ્રસ્થાનમાં પાંચ કલાક કરતાં વધુ સમયનો વિલંબ થયો હતો. આ ઘટનાને પગલે વ્યાપક સુરક્ષા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને તમામ ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કર્યા બાદ સત્તાવાળાઓએ આ ધમકીને માત્ર એક અફવા જાહેર કરી હતી.
બૅન્ગલુરુથી અમદાવાદ જતી ઇન્ડિગોની એક ફ્લાઇટ બૉમ્બની નકલી ધમકીને કારણે પાંચ કલાક કરતાં વધુ સમય માટે મોડી પડી હતી. આખરે શુક્રવારે વહેલી સવારે ૧:૨૧ વાગ્યે આ ફ્લાઇટે ઉડાન ભરી હતી. આ મામલે સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી અમદાવાદ જવા માટે રવાના થનારી ઇન્ડિગો ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ચિઠ્ઠી મળી આવતાં વિમાનના પ્રસ્થાનમાં પાંચ કલાકથી વધુનો વિલંબ થયો હતો. આ ચિઠ્ઠી મળતાં જ સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું હતું. ન્યૂઝ એજન્સી `એએનઆઈ` (ANI)ના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી અને આખરે આ ધમકીને અફવા જાહેર કરવામાં આવી હતી.