21 October, 2025 11:44 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
કાયમી ઉકેલ માટે ખાસ પ્રોજેક્ટ તરીકે ૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે
ગુજરાતમાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ–થરાદ જિલ્લામાં થયેલા પાકના નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયરૂપ થવા સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફન્ડ (SDRF)ની જોગવાઈ મુજબ રૂપિયા ૫૬૩ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય બજેટમાંથી ૩૮૪ કરોડની વધારાની સહાય રકમ ઉમેરી કુલ રૂપિયા ૯૪૭ કરોડનું કૃષિ રાહત પૅકેજ જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. અસરગ્રસ્ત પાંચ જિલ્લાઓના ૧૮ તાલુકાઓનાં ૮૦૦ ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. એના કાયમી ઉકેલ માટે ખાસ પ્રોજેક્ટ તરીકે ૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે.