આગામી ચૂંટણીમાં આપ ગુજરાતની તમામ બેઠકો લડશે: અરવિંદ કેજરીવાલ

14 June, 2021 02:56 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.

તસવીર: અરવિંદ કેજરીવાલ ( ફાઈલ ફોટો)

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યાંથી તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને  ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.  મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીનું ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતું. 

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.  તેમણે કહ્યું કે પાર્ટી ચૂંટણી લડવા માટે અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે. કેજરીવાલે વધુમાં ઉમેર્યુ કે જો દિલ્હીમાં વીજળી,પાણી અને હોસ્પિટલની વ્યવસ્થા સારી હોય શકે તો ગુજરાતમાં કેમ નહીં? હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે જો ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં તમામ વસ્તુઓ બદલાશે. અહીંના હોસ્પિટલોની હાલત 70 વર્ષમાં નથી સુધરી, પરંતુ ટૂંક સમયમાં જ બદલાશે. 


અરવિંદ કેજરીવાલ દ્વારા નવરંગપુરામાં પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું  હતું. કેજરીવાલની સાથે ગોપાલ ઇટાલિયા તેમજ ઈશુદાન ગઢવી પણ કાર્યાલય પર હાજર રહ્યાં હતા. કેજરીવાલને મળવા માટે મોટી સંખ્યામાં કાર્યકરોની ભીડ ઉમટી પડી હતી.  નોંધનીય છે કે ઈશુદાન ગઢવી આપમાં જોડાયા છે. 


રાજ્યમાં કેજરીવાલના આગમનને લઈ આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર હાજર રહ્યાં હતાં. આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

 

gujarati mid-day gujarati news arvind kejriwal