૨૦ મિનિટનો હૃદયદ્રાવક સન્નાટો અને પછી નરેન્દ્ર મોદી એટલું જ બોલી શક્યા...બેન, ધીરજ રાખો

15 June, 2025 06:53 AM IST  |  Gandhinagar | Rashmin Shah

વિજય રૂપાણીના પરિવારને ગાંધીનગરમાં મળ્યા વડા પ્રધાન : વિજય રુપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થઈ શકશે કે કેમ એ પાર્થિવ દેહની અવસ્થા પછી નક્કી થશે, પણ વિજયભાઈની ઇચ્છા મુજબ અંતિમવિધિઓ રાજકોટમાં જ થશે

ગઈ કાલે ગાંધીનગરમાં વિજય રૂપાણીનાં પત્ની અંજલિબહેન અને અન્ય પરિવારજનો સાથે નરેન્દ્ર મોદી

ગાંધીનગરમાં બંગલો, લંડનમાં દીકરીનું ઘર, અમેરિકામાં સેટલ થયેલો દીકરો અને છતાં રાજકોટ પ્રત્યેનો લગાવ અને પ્રેમ. ગુરુવારે અમદાવાદમાં થયેલા પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ ભાવના જોઈને તેમનાં વાઇફ અંજલિબહેને ગઈ કાલે નિર્ણય લીધો હતો કે મારા પતિની તમામ અંતિમવિધિઓ રાજકોટમાં કરવામાં આવશે. ગઈ કાલથી DNA ટેસ્ટ શરૂ થઈ છે ત્યારે વિજયભાઈની દીકરી રાધિકાનું પણ DNA સૅમ્પલ લઈ લેવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર પ્રયાસ કરશે કે ત્રણ દિવસમાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપી દેવામાં આવે. પાર્થિવ દેહની અવસ્થા કેવી છે એ વિશે કોઈ માહિતી ન હોવાને કારણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવા, પણ જો એ સંભવ ન હોય તો તેમની અંતિમવિધિઓ તો રાજકોટમાં જ કરવી.

અંજલિબહેન અને વિજયભાઈ સાથે વેકેશનમાં જનારા મિત્રો ગુરુવારે લંડનથી દુબઈ અને દુબઈથી ઇન્ડિયાના એક કૉર્પોરેટ હાઉસના ચાર્ટર્ડ પ્લેનમાં ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચી ગયા હતા.

રાજકોટમાં થનારા અંતિમ સંસ્કાર દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળ હાજર રહેશે. એ ઉપરાંત વિજયભાઈની શ્રદ્ધાંજલિ સભા પરિવાર દ્વારા રાજકોટ અને અમદાવાદમાં પણ રાખવામાં આવશે; જ્યારે પાર્ટી દ્વારા દિલ્હી, અમ્રિતસરમાં રાખવામાં આવશે. વિજયભાઈના દેહાંત પછી હવે ગુજરાત સરકાર ૭ દિવસ સુધી એક પણ પ્રકારનો ઉત્સવ કે જાહેર કાર્યક્રમ કરશે નહીં જેને લીધે ૨૧ જૂને શનિવારે આવતા ઇન્ટરનૅશનલ યોગ ડેની ઉજવણી પર પ્રશ્નો ઊભા થયા છે.

રુષભ આજે પહોંચશે

અમેરિકાથી કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ ન હોવાને કારણે વિજય રૂપાણીના દીકરા રુષભને નાછૂટકે લૉન્ગ-ડિસ્ટન્સ ફ્લાઇટ લેવી પડી એટલે તે આજે અમદાવાદ પહોંચશે. રુષભ અમેરિકામાં બિઝનેસ કરે છે. રુષભની ઘણા લાંબા સમયથી ઇચ્છા હતી કે પપ્પા-મમ્મી બધું છોડીને તેમની સાથે અમેરિકા રહેવા આવી જાય, પણ વિજયભાઈને રાજકોટ છોડતું નહોતું.

ગાંધીનગરથી અમદાવાદ ઍરપોર્ટ જવા નીકળેલા વિજયભાઈએ ઍરપોર્ટ પહોંચ્યા ત્યાં સુધીમાં અંજલિબહેન સાથે વાત કરી લીધી હતી અને લંડનમાં જેમની સાથે વેકેશન પર જવાના હતા એ તેમના જુનિયર સાથી અને BJPના સૌરાષ્‍ટ્રના નેતા ધનસુખ ભંડેરી તથા નીતિન ભારદ્વાજ સાથે પણ ફોન પર વાત કરી હતી. નીતિન ભારદ્વાજે કહ્યું હતું કે ‘આવું જનરલી બનતું નથી. વિજયભાઈ કામમાં જ હોય. તમારે તેમને ફોન કરવા પડે, પણ ગુરુવારે તેમણે સામેથી બધાને ફોન કર્યા અને પોતાની તમામ અપડેટ આપી હતી. ઍરપોર્ટ પહોંચ્યા પછી પણ તેમણે મેસેજ કરીને કહ્યું હતું કે થોડી વારમાં ફ્લાઇટ ઊપડશે.’

વીસ મિનિટ અને એક વાક્ય

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ અંજલિબહેનને મળ્યા ત્યારે શરૂઆતની ૨૦ મિનિટ સુધી કોઈ એક પણ શબ્દ બોલી શક્યું નહીં અને અંજલિબહેન ધ્રુસકે-ધ્રુસકે રડતાં રહ્યાં. ત્યાં હાજર રહેલા તમામેતમામ એ સ્તરે અવાક હતા કે કોઈ પાસે શબ્દો નહોતા રહ્યા. લાસ્ટ મોમેન્ટ સુધી કાર્યરત રહેલા વિજયભાઈની આવી, થોડી જ સેકન્ડમાં એક્ઝિટ થઈ હોય એની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું.

૨૦ મિનિટના એ હૃદયદ્રાવક સન્નાટા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એટલું જ બોલ્યા હતા, ‘બેન, ધીરજ રાખો.’

વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટ સાથે આ ફોટો મૂક્યો છે

વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈકેટલાય પડકારજનક સમયમાં અમે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.

વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણાં પગલાં હાથ ધર્યાં હતા જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના... ૐ શાંતિ...!!

plane crash air india ahmedabad Vijay Rupani narendra modi gandhinagar gujarat gujarat news Rashmin Shah