08 July, 2025 04:02 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદ પ્લેન ક્રૅશ (તસવીર સૌજન્ય: મિડ-ડે)
અમદાવાદમાં ૧૨ જૂનના રોજ થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau) એ મંગળવારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ના દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો. આ અકસ્માત તાજેતરના દાયકાઓમાં ભારતમાં થયેલા સૌથી ભયંકર વિમાન અકસ્માતોમાંનો એક છે.
આ દરમિયાન, આજે સંસદની જાહેર હિસાબ સમિતિ (Public Accounts Committee) ની એક મહત્ત્વપૂર્ણ બેઠક પણ યોજાવા જઈ રહી છે, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિવ અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (Directorate General of Civil Aviation) ને બોલાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે બેઠક દરમિયાન, AI-171 વિમાન દુર્ઘટના ઉપરાંત, ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી ધોરણો પર પણ ચર્ચા કરવામાં આવશે.
જો કે, PAC બેઠકનો મુખ્ય એજન્ડા મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી ફી, ઍરલાઇન ચાર્જ અને ઍરપોર્ટ અને જાહેર માળખાગત સુવિધાઓ માટે અન્ય દરોના નિર્ધારણ અને નિયમન સાથે સંબંધિત હશે. આ સાથે, વિમાન સલામતી અંગે ઉભી થતી ચિંતાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
નોંધનીય છે કે 12 જૂનના રોજ, ઍર ઇન્ડિયાની લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટ AI-171 અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ હતી. વિમાન બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રૅશ થયું હતું, જેમાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મૃતકોમાં સામેલ હતા. આ ઉપરાંત, મેડિકલ કૉલેજના ઘણા વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા.
અકસ્માત પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તપાસમાં AAIB ને સંપૂર્ણ સહયોગ આપ્યો છે. આ તપાસ નવી દિલ્હીમાં AAIB ની અદ્યતન પ્રયોગશાળામાંથી હાથ ધરવામાં આવી હતી. 25 જૂન સુધીમાં, બ્લૅક બૉક્સના `ક્રૅશ પ્રૉટેક્શન મોડ્યુલ`માંથી ડેટા મેળવવામાં આવ્યો હતો. ANI અનુસાર, બ્લૅક બૉક્સમાંથી ડેટાની ચોકસાઈની પુષ્ટિ કરવા માટે `ગોલ્ડન ચેસિસ`નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ વ્યાપક તપાસ ટીમમાં ભારતીય વાયુસેના, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ, યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, બોઇંગ, GE, ઍવિએશન મેડિસિન નિષ્ણાતો અને ઍર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ તપાસ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના `એનેક્સ 13` અને ભારતના `ઍરક્રાફ્ટ (અકસ્માત અને ઘટનાઓની તપાસ) નિયમો, 2017` હેઠળ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે. સરકાર અને તપાસ એજન્સીઓ હવે AAIB ના અંતિમ અહેવાલની રાહ જોઈ રહી છે, જે સ્પષ્ટ કરશે કે શું તકનીકી ખામી, માનવ ભૂલ અથવા અન્ય કોઈ કારણ અકસ્માત માટે જવાબદાર હતું.