14 June, 2025 07:13 AM IST | Mumbai | Mehul Jethva
શ્રદ્ધા ધવન અને તેની સોસાયટીમાં ભેગા થયેલા તેના મિત્રો તેમ જ સંબંધીઓ.
દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મુલુંડ-વેસ્ટમાં કલ્પનગરી વિસ્તારની નિશાદ સોસાયટીની એ વિંગના ૬૦૩ નંબરના ફ્લૅટમાં રહેતી ૩૮ વર્ષની ક્રૂ મેમ્બર શ્રદ્ધા ધવન પણ હતી. તેના મૃત્યુના સમાચાર આવતાં આખી સોસાયટીમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ શ્રદ્ધાના મૃત્યુના સમાચાર મળતાં સોસાયટીના મેમ્બરો તેમ જ શ્રદ્ધાના મિત્રો સોસાયટી પાસે ભેગા થઈ ગયા હતા.
ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ શ્રદ્ધાના મૃત્યુના સમાચાર મળતાં અમારી સોસાયટીમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી એમ જણાવતાં નિશાદ સોસાયટીના સેક્રેટરી આંચલ દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રદ્ધા તેનાં માતા-પિતા અને પતિ રાજેશ સાથે અમારી સોસાયટીમાં રહેતી હતી. તેની એક પુત્રી પણ છે જે દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. શ્રદ્ધા આશરે ૧૫ વર્ષથી ક્રૂ-મેમ્બર છે. શરૂઆતથી જ તે ઍર ઇન્ડિયામાં નોકરી કરતી હતી એટલું જ નહીં, તેના પતિ રાજેશ પણ ઍર ઇન્ડિયામાં પાઇલટ છે. જ્યારે ઘટના બની ત્યારે રાજેશ દિલ્હી ઍરપોર્ટ પર હોવાની માહિતી અમને મળી હતી. શ્રદ્ધા વિશે માહિતી મળતાં ગઈ કાલે મોડી રાતે રાજેશ મુંબઈ આવી ગયો હતો.’