14 April, 2026 11:27 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રમાં ગઈ કાલે મોડી રાતે કરુણાંતિકા સર્જાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઇવે પર ફુલસ્પીડમાં આવી રહેલા ડમ્પરચાલકે એડફેટે લેતાં ઘટનાસ્થળે જ ૭ પદયાત્રીઓનાં મોત થયાં હતાં જ્યારે પાંચથી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓની ચીસાચીસથી હાઇવે પર કાળનો ઓછાયો છવાઈ ગયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ-અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
કાળજું કંપાવી દે એવી આ ઘટના લખતરના ભાસ્કરપરા પાસે બની હતી. મુંધવા પરિવારનો સંઘ રાજકોટના ગઢકા ગામથી વિરમગામ રાજબાઈ માની ધજા ચડાવી મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જઈ રહ્યો હતો. આ સંઘ છારદથી પગપાળા વિઠ્ઠલગઢ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં એક ટ્રકચાલક ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો ત્યારે પદયાત્રીઓ એનાથી આગળ જઈ રહ્યા હતા એ દરમ્યાન રાજકોટ તરફથી લખતર તરફ ફુલસ્પીડમાં જઈ રહેલું એક ડમ્પર ટાયર બદલવા ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું જેને કારણે ઘટનાસ્થળે જ ટાયર બદલી રહેલા ટ્રક-ડ્રાઇવર સહિત ૭ પદયાત્રીઓનાં મોત થયાં હતાં જેમાં પાંચ મહિલા સહિત બે પુરુષોનો સમાવેશ છે. આ ઘટનામાં ડમ્પરચાલક આદિત્ય ગોકનિયાને ઝડપી લીધો હતો.