15 September, 2021 04:28 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પરકજ જોશી અને અંવતિકા સિંઘ (તસવીરઃ સૌ. ટ્વિટર)
વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળના રાજીનામા બાદ ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. CMO માં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલાં સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યાં છે.રાજ્યમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવના પદ પર નવી નિમણૂક કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘ અને અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પકજ કુમાર ને CMO માં મૂકવામાં આવ્યાં છે.
ગુજરાત મુખ્યપ્રધાન કાર્યાલયમાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. રૂપાણી સમયના CMOના તમામ આઇએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક કરવામાં આવી છે, જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની CMOના નવા એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)અને અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ભરૂચના કલેક્ટર એમ.ડી.મોડિયાની બદલી કરીને તેમની સ્પેશિયલ ડ્યુટી મુખ્યમંત્રી ઓફિસ ખાતે કરાઈ છે અને એન.એન દવે કે જેઓ અમદાવાદ મનપામાં ડેપ્યુટી મ્યુ કમિશનર હતાં તેઓની પણ બદલી કરીને તેમને CMOમાં મુકવામાં આવ્યાં છે.
કોણ છે અવંતિકા સિંઘ?
IASઅધિકારી અવંતિકા સિંઘની મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ-ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ જાહેર વહીવટમાં લગભગ 17 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. અવંતિકા સિંઘે આસામમાં સબ ડિવિઝનલ ઓફિસર તરીકે સિવિલ સર્વિસીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
કોણ છે પંકજ જોષી ?
IAS અધિકારી પંકજ જોષી કે જેમને CMO ના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારી તરીકે તેઓ કાર્યરત થયાં છે. તેમને વિવિધ ક્ષેત્રોમાં જાહેર વહીવટ અને નીતિમાં બહોળો અનુભવ છે.