14 June, 2021 11:41 AM IST | Gandhinagar | Agency
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના આ કાર્યાલયનું ઉદ્ઘાટન સોમવારે અરવિંદ કેજરીવાલ કરશે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતી કાલે અમદાવાદની મુલાકાતે જશે. છ મહિનામાં તેઓ બીજી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અહીં તેઓ ‘આપ’ પાર્ટીના રાજ્યના મુખ્ય મથકનું ઉદ્ઘાટન કરશે.
આ અગાઉ તેઓએ ૨૬ ફેબ્રુઆરીએ સુરતની મુલાકાત લીધી હતી. નગર નિગમની ચૂંટણીમાં ૨૭ સભ્યોની જીત સાથે જૂના વિરોધ પક્ષને હટાવી મુખ્ય વિરોધ પક્ષ તરીકે સ્થાપિત થયા બાદ અહીં તેમણે ‘આપ’ પાર્ટીનો રોડ-શો યોજ્યો હતો. અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાત પાછળનો મૂળ હેતુ ગુજરાતમાં પાર્ટી ઑફિસનું ઉદ્ઘાટન કરવાનો છે. આ ઉપરાંત ગુજરાતી ટીવી ચૅનલના એક જાણીતા હોસ્ટ અન્ય કેટલાક નેતાઓ સાથે ‘આપ’માં જોડાઈ રહ્યા હોવાનું એક કારણ મનાઈ રહ્યું છે.