14 September, 2021 05:18 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિને કારણે ગુજરાત સરકારે મંગળવારે રાતથી કર્ફ્યુ 25 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો છે. એક સત્તાવાર સૂચના મુજબ, રાજ્યના આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ બીજા 10 દિવસ સુધી લાદવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યુ દરરોજ રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
આઠ શહેરો જ્યાં નવી માર્ગદર્શિકા અમલમાં આવશે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ છે. ગયા મહિને, રાજ્ય સરકારે કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ દરમિયાન ઉપરોક્ત આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં છૂટછાટની જાહેરાત કરી હતી. જન્માષ્ટમીની ઉજવણીને સરળ બનાવવા માટે સામાન્ય 11 વાગ્યાને બદલે, 30 ઓગસ્ટના રોજ રાત્રે 1 વાગ્યાથી નાઇટ કર્ફ્યુ અમલમાં આવ્યો.
ગણેશ ઉત્સવ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં 9થી 19 સપ્ટેમ્બર દરમિયાન મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી કર્ફ્યુ હતો. ગુજરાતમાં નેતૃત્વમાં ફેરફાર થયાના એક દિવસ પછી નાઇટ કર્ફ્યુનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને કર્ફ્યૂમાં એક કલાક વધારવામાં આવ્યો છે.