ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ, AAP અને કૉંગ્રેસે ટ્વીટ કરી BJPને ઘેરી

17 May, 2025 06:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આ ધરપકડથી એક મોટું રાજકીય તોફાન શરૂ થયું છે, જેમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં શાસક ભાજપ પર ટીકા કરી છે. બન્ને પક્ષોએ ભાજપ પર મીડિયાને ડરાવવા અને ચૂપ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે ગુજરાતના સૌથી મોટા દૈનિક અખબાર ગુજરાત સમાચારના સહ-માલિક બાહુબલી શાહની મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. શાહ 15 થી વધુ વ્યાપારી સંગઠનો સાથે સંકળાયેલા છે અને તેમની સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બાહુબલી શાહ લોક પ્રકાશન લિમિટેડના ડિરેક્ટરોમાંના એક છે, જે ગુજરાત સમાચાર અખબાર પ્રકાશિત કરે છે અને GSTV ચૅનલનું પ્રસારણ કરે છે. તેમના મોટા ભાઈ શ્રેયાંશ શાહ અખબારના મેનેજિંગ એડિટર છે.

ધરપકડ બાદ બાહુબલી શાહની તબિયત લથડી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધરપકડના કારણોની વિગતો આપતું કોઈ સત્તાવાર નિવેદન ઇડીએ હજી સુધી બહાર પાડ્યું નથી. આ ધરપકડથી એક મોટું રાજકીય તોફાન શરૂ થયું છે, જેમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં શાસક ભાજપ પર ટીકા કરી છે. બન્ને પક્ષોએ ભાજપ પર મીડિયાને ડરાવવા અને ચૂપ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું, `ગુજરાત સમાચારને ચૂપ કરવાનો પ્રયાસ એ ફક્ત એક અખબારનો જ નહીં પરંતુ સમગ્ર લોકશાહીનો અવાજ દબાવવાનું બીજું કાવતરું છે.’ જ્યારે સત્તાને જવાબદાર ઠેરવતા અખબારોને તાળા મારી દેવામાં આવે છે, ત્યારે સમજો કે લોકશાહી જોખમમાં છે. બાહુબલી શાહની ધરપકડ એ જ ડરની રાજનીતિનો એક ભાગ છે, જે હવે મોદી સરકારની ઓળખ બની ગઈ છે. દેશ ન તો લાકડીઓથી ચાલશે કે ન તો ભયથી - ભારત સત્ય અને બંધારણથી ચાલશે. કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ ધરપકડને ભાજપ દ્વારા સ્વતંત્ર મીડિયાને સરકારની લાઇન પર ચાલવા દબાણ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

વેણુગોપાલે X પર લખ્યું, `ગુજરાત સમાચાર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની નિર્ભયતાથી ટીકા કરે છે. ED દ્વારા માલિક બાહુબલી શાહની ધરપકડ એ ભાજપનો સ્વતંત્ર મીડિયાને નમન કરવાનો અને તેને સરકારની ઇચ્છા મુજબ કામ કરાવવાનો માર્ગ છે. AAPના વડા અરવિંદ કેજરીવાલે પણ ધરપકડ અંગે ભાજપની ટીકા કરી હતી અને તેને સત્ય બોલતા અને પ્રશ્નો પૂછતા દરેક અવાજને ચૂપ કરવા માટે પાર્ટીની નિરાશાની નિશાની ગણાવી હતી.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, `ગુજરાત સમાચાર અને GSTV પર છેલ્લા 48 કલાકમાં આવકવેરા અને EDના દરોડા અને ત્યારબાદ તેમના માલિક બાહુબલી ભાઈ શાહની ધરપકડ - આ બધું માત્ર સંયોગ નથી. આ ભાજપની હતાશાનું પ્રતીક છે, જે સત્ય બોલતા અને પ્રશ્નો પૂછતા દરેક અવાજને દબાવવા માંગે છે. દેશ અને ગુજરાતની જનતા આ સરમુખત્યારશાહીનો ખૂબ જ જલ્દી જવાબ આપશે. ગુજરાતના ધારાસભ્ય અને કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ પણ ED પર નિશાન સાધ્યું અને કહ્યું કે ગુજરાત સમાચાર અને તેના માલિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે છેલ્લા 25 વર્ષથી આ અખબાર ભાજપ સરકારની ટીકા કરતા અહેવાલો પ્રકાશિત કરી રહ્યું છે.

gujarat news directorate of enforcement rahul gandhi Gujarat BJP aam aadmi party arvind kejriwal gujarat