અબતક ૬૪

14 September, 2021 11:20 AM IST  |  Rajkot | Rashmin Shah

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ઍરફોર્સ દ્વારા ગઈ કાલે સાંજ સુધીમાં કુલ ૬૪ લોકોને ઍર-લિફ્ટ કરવામાં આવ્યા છે

ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટમાંથી ૧૭૦૦થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ઍરફોર્સ દ્વારા ગઈ કાલે સાંજ સુધીમાં કુલ ૬૪ લોકોને ઍર-લિફ્ટ કરવામાં આવ્યા છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ કામે લાગે એ પહેલાં જ વરસાદે આતંક મચાવી દેતાં ઍરફોર્સની ટીમ કામે લાગી ગઈ હતી. ઍર-લિફ્ટનાં વધુમાં વધુ ઑપરેશન જામનગર જિલ્લામાં કરવામાં આવ્યાં હતાં, જેમાં એક જ વિસ્તારમાંથી ૧૩ મહિલા, ૧૧ પુરુષો અને ૭ બાળકો મળી કુલ ૩૧ લોકોનું રેસ્ક્યુ ઑપરેશન સૌથી દિલધડક હતું. જામનગરના કલેક્ટર સૌરભ પારધીએ કહ્યું કે ‘ચાલુ વરસાદ, સતત થતી રહેતી વીજળી અને ભારે પવન વચ્ચે બાળકોને ઍર-લિફ્ટ કરવાનું કામ ખરેખર સાહસની ચરમસીમા સમાન હતું, ઍરફોર્સને એને માટે દાદ આપવી પડે.’

જામનગર જિલ્લામાંથી ૫૦થી વધુ લોકોને ઍર-લિફ્ટ કરવામાં આવ્યા હતા તો છૂટાછવાયાં ગામમાંથી પણ ઍરફોર્સ દ્વારા ઍર-લિફ્ટની કામગીરી કરવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટમાંથી ૧૭૦૦થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી, આ કામગીરીમાંથી મોટા ભાગની કામગીરી સ્થાનિક પોલીસ અધિકારી અને કૉર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં જુદી-જુદી ઘટનામાં ૨૦થી વધુ ગાડી પાણીના વહેણમાં તણાતાં સ્થાનિક લોકોએ બચાવકાર્ય કરીને ગાડીમાં રહેલા ૪૦થી વધુ લોકોને બહાર કાઢીને તેમના જીવ બચાવ્યા હતા.

gujarat gujarat news saurashtra kutch Gujarat Rains Rashmin Shah