15 February, 2026 09:16 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
ભવનાથ મંદિરમાં લેસર શો જોવા ઊમટેલા લોકો.
સૌરાષ્ટ્રમાં આવેલી આધ્યાત્મિક નગરી જૂનાગઢમાં ચાલી રહેલા ભજન, ભોજન અને ભક્તિના સંગમરૂપ મહાશિવરાત્રિના મેળામાં ટેક્નૉલૉજીની કમાલ પણ જોવા મળી છે. પહેલી વાર મહાશિવરાત્રિના મેળામાં શરૂ કરાયેલા લેસર શોએ શ્રદ્ધાળુઓમાં આકર્ષણ જમાવ્યું છે.
જૂનાગઢમાં આવેલા ભવનાથ મંદિર ખાતે આધ્યાત્મિકતાની સાથે ટેક્નૉલૉજીનો સંગમ કર્યો છે. આધ્યામિકતાને ઉજાગર કરતો લેસર શો સૌને આકર્ષી રહ્યો છે. ભક્તિસંગીતની સાથે-સાથે લેસર શોએ પણ શિવભક્તોમાં જમાવટ કરી છે. શિવજીનાં જુદાં-જુદાં રૂપો, જય ગિરનારી, ઓમ નમઃ શિવાય ઉપરાંત તાંડવનૃત્ય કરતા શિવજી, ત્રિશૂળ, ડમરુ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ લેસર કિરણો દ્વારા અંકિત કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિના મેળામાં પહેલી વાર આ લેસર શોનું આયોજન થયું છે જે જોવા માટે લોકો રાત્રે ભવનાથ મંદિરમાં ઊમટી રહ્યા છે. ભવનાથ મંદિર પર પંચાવન કિલોનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિરના પરિસરમાં ભગવાન શિવજી રવેડીમાં આવતા હોય એવું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગ શિવભક્તોને પસંદ આવી રહ્યું છે.