10 August, 2026 08:35 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં રેગિંગના આરોપો સામે આવ્યા છે. તપાસ બાદ ચાર સિનિયર ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ફેકલ્ટીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ હોસ્ટેલમાં રહેતા ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સંવેદનશીલ મામલાની તપાસ બાદ, રેગિંગના ગંભીર આરોપો સામે આવ્યા હતા, જેના કારણે હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ પ્રશાસન કડક વલણ અપનાવી રહ્યું છે. જુનિયર વિદ્યાર્થીઓની લેખિત ફરિયાદોને સાચી માનીને, વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.
Surat: અહેવાલ મુજબ, કૉલેજની રેગિંગ વિરોધી સમિતિએ મોડી રાત સુધી સંપૂર્ણ તપાસ કરી હતી અને લગભગ નવ જુનિયર વિદ્યાર્થીઓની રૂબરૂ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન, જુનિયર વિદ્યાર્થીઓએ તેમના સિનિયરો દ્વારા કરવામાં આવતા હેરાન કરનારા વર્તન અને રેગિંગના બનાવો અંગે સમિતિને લેખિત નિવેદનો આપ્યા હતા. હોસ્પિટલ અને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને શિક્ષણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જુનિયર વિદ્યાર્થીઓના આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કૉલેજ કાઉન્સિલે તાત્કાલિક શિસ્તભંગના પગલાં લેવાનો નિર્ણય લીધો. સસ્પેન્ડ કરાયેલા ચાર સિનિયર ડોકટરોમાં ડો. નિરાલી વસાવા, ડો. અનુજ મહેશ્વરી, ડો. દિક્ષિતાબેન સીઝેરિયન અને ડો. હિના ભૂતનો સમાવેશ થાય છે. આ ચાર આરોપી ડોકટરો સામે કાર્યવાહી કરતા, તેમને આગામી છ મહિના સુધી હોસ્પિટલના સંચાલન, હોસ્ટેલમાં રહેવા અને કોઈપણ શિક્ષણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. સસ્પેન્શનના આ સમયગાળા દરમિયાન, તેઓ કોઈપણ વર્ગોમાં હાજરી આપી શકશે નહીં અથવા કૉલેજની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.
આ સમગ્ર ઘટનામાં, વહીવટીતંત્રે માત્ર આરોપી વિદ્યાર્થીઓ સામે જ નહીં પરંતુ બેદરકારી દાખવનારા જવાબદાર ફેકલ્ટી સભ્યો સામે પણ કડક કાર્યવાહી કરી છે. કૉલેજ વહીવટીતંત્રે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લા તેમજ ડો. સંગીતા રાજદે, ડો. યોગિતા મિસ્ત્રી અને ડો. લતિકા પુરોહિતને કારણદર્શક નોટિસ ફટકારી છે. કૉલેજ કાઉન્સિલે આ સમગ્ર કાર્યવાહીના અહેવાલને મંજૂરી આપી છે અને તેને સત્તાવાર રીતે રાજ્ય સરકારને સુપરત કર્યો છે.
હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ડૉ. હર્ષ પંડ્યાના અકાળ મૃત્યુ પાછળ રેગિંગ મુખ્ય કારણ હતું. જો કે, કૉલેજ વહીવટીતંત્ર અને આંતરિક તપાસ ટીમે સ્પષ્ટતા કરી છે કે રેગિંગના આ આરોપોની સત્યતા અને આત્મહત્યા વચ્ચે સીધી કડી અંગેનો અંતિમ નિષ્કર્ષ પોલીસ તપાસ પછી જ સ્પષ્ટ થશે. આગામી દિવસોમાં ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે.