27 March, 2025 12:33 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુરત સ્ટેશનનાં પ્લૅટફૉર્મ નંબર બે અને ત્રણ પર ચાલી રહેલું કામ હવે પૂરું થઈ ગયું હોવાથી પહેલી એપ્રિલથી મોટા ભાગની ટ્રેનો ફરી સુરત સ્ટેશન પર ઊભી રહેશે. છેલ્લા થોડા સમયથી અનેક ટ્રેન સુરતને બદલે ઊધના સ્ટેશને ઊભી રહેતી હતી, પણ પહેલી એપ્રિલથી એ ફરીથી સુરત સ્ટેશને ઊભી રહેશે એમ વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ જણાવ્યું છે.
સુરત સ્ટેશને કામ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ઊધના સ્ટેશને ટ્રેન પકડવા કે બહારગામથી આવતા હો તો ટ્રેનમાંથી ત્યાં ઊતરવું પડતું હતું. ઊધના સુરત શહેરથી થોડું બહાર આવ્યું હોવાથી પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડતી હતી. રિક્ષામાં સામાન અને પરિવાર સાથે તેમણે બાય રોડ ઊધનાથી પોતાના સ્થળ સુધી પ્રવાસ કરવો પડતો હતો. ઘણી વાર રિક્ષાવાળા મોંમાગ્યા પૈસા પડાવતા હતા. હવે ફરીથી ટ્રેનો સુરત ઊભી રહેવાની હોવાથી પ્રવાસીઓનો આ હેરાનગતિથી છુટકારો થશે. સુરત જવા-આવવા માગતા પ્રવાસીઓને વધુ વિગતો માટે વેસ્ટર્ન રેલવેની વેબસાઇટ wr.indianrailways.gov.in ચેક કરવા વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું છે.