25 August, 2026 11:31 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગાંધીનગરમાં ટ્રેઇનિંગ લઈ રહેલા તીરંદાજો.
પહેલી વાર અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝનું આયોજન પાંચથી ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના નૅશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે ૨૯ સભ્યોની ભારતીય પૅરા આર્ચરી ટીમ અમદાવાદ ૨૦૨૬ વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝ માટે તાલીમ લઈ રહી છે.
ભારતીય ટીમમાં પૅરિસ પૅરાલિમ્પિક્સનાં મેડલ વિજેતાઓ શીતલ દેવી, રાકેશ કુમાર અને હરવિંદર સિંહ, વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝના મેડલ વિજેતા શ્યામ સુંદર સ્વામી તથા વર્લ્ડ ચૅમ્પિયનશિપના મેડલ વિજેતા તોમન કુમારનો સમાવેશ થાય છે. શિબિરમાં સામેલ ૨૯ ખેલાડીઓ પૈકી ૧૧ તીરંદાજો જપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગાંધીનગરમાં તાલીમ શિબિર પૂરી થયા બાદ ભારતીય ટીમ વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝમાં ભાગ લેશે જે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.
આ પ્રથમ વખત હશે કે ભારત વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝનું આયોજન કરી રહ્યું છે. એપ્રિલ ૨૦૨૬માં થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝનો પ્રથમ તબક્કો (સ્ટેજ–વન) યોજાયો હતો જેમાં ભારતીય તિરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજો તબક્કો (સ્ટેજ-ટૂ) ચેકિયામાં યોજાયો હતો. અમદાવાદમાં યોજાનારી સ્પર્ધા ત્રીજો તબક્કો (સ્ટેજ-થ્રી) હશે અને ચોથો તબક્કો (સ્ટેજ-ફોર) ઑક્ટોબર ૨૦૨૬માં ચિલીના સેન્ટિયાગોમાં રમાશે.