પાકિસ્તાનમાં ૧૨૫ વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુદ્વારા જમીનદોસ્ત

01 July, 2026 02:33 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ભૂમાફિયાઓએ પ્રશાસનની મિલીભગતથી ૨૪ જૂને તોડી પાડ્યું; વૈશ્વિક આક્રોશ બાદ જગ્યા સીલ કરવામાં આવી

તહસનહસ કરી દેવામાં આવેલું ગુરુદ્વારા.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લઘુમતી સિખ સમુદાયની આસ્થાને ઠેસ પહોંચાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. પંજાબના ફારુકાબાદમાં સ્થિત આશરે ૧૨૫ વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી સિંઘ સભા સ્થાનિક ભૂમાફિયાઓએ પ્રશાસનની મિલીભગતથી જમીનદોસ્ત કરી દીધું છે. ૨૪ જૂનની રાત્રે આ ગુરુદ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સિખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ભારે વિરોધ-પ્રદર્શન કરીને તોડફોડ અટકાવી હતી. સમાચાર વાઇરલ થયા બાદ વૈશ્વિક સ્તરે પાકિસ્તાન શરમજનક સ્થિતિમાં મુકાયું હતું, જેના પગલે ભારે દબાણના કારણે આખરે સ્થાનિક પ્રશાસને આ ઐતિહાસિક સ્થળને સીલ કરીને આગળની કોઈ પણ પ્રકારની તોડફોડ કે નિર્માણ પર રોક લગાવી દીધી છે.

પાકિસ્તાનનો કકળાટ: અમે એવા લોકોના હાથ કાપી નાખીશું જે સિંધુનું પાણી રોકશે

સિંધુ નદીનું પાણી રોકવાના ભારતના નિર્ણય સામે પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ પ્રધાન મુસાદિક મલિકે હાથ કાપી નાખવાની ધમકી આપી હતી. ૨૦૨૫ના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે દાયકાઓ જૂના પાણી વહેંચણી કરારને સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. આ સંબંધમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં મલિકે ભારત પર પાકિસ્તાનના પાણીના હિસ્સા પર નિયંત્રણ કરવાનો આરોપ લગાવીને દાવો કર્યો હતો કે પાકિસ્તાન કોઈને પણ એના પાણીના હિસ્સાને અવરોધવા દેશે નહીં, પાડોશી દેશના વડા પ્રધાન દ્વારા પાણીનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે, તેઓ કહે છે કે પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ વહેવા દેશે નહીં.

international news india pakistan