10 July, 2025 06:58 AM IST | Milan | Gujarati Mid-day Online Correspondent
ઇટાલીનું મિલાન બર્ગામો ઍરપોર્ટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ઇટાલીના મિલાન બર્ગામો ઍરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો, જ્યાં એક વ્યક્તિ ટેક્સીવે પર વિમાનના એન્જિનમાં ફસાઈ ગયો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ ન તો મુસાફર હતો કે ન તો ગ્રાઉન્ડ સ્ટાફ અને તે જાણી જોઈને સ્પેનના અસ્તુરિયાસ જઈ રહેલા ઍરબસ A319 વોલોટીઆ વિમાનના રસ્તામાં આવ્યો અને એન્જિન તેને અંદર ખેંચી ગયું. વિમાન ઉડાન ભરવા માટે તૈયાર હતું. અકસ્માત પછી, સવારે લગભગ 10.20 વાગ્યે ઓરિયો અલ સેરિયો ઍરપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ ગયું. આ સૌથી વ્યસ્ત ઍરપોર્ટમાંનું એક છે, જેને મિલાનો બર્ગામો તરીકે પણ ઓળખવામાં આવે છે.
પીડિત પોતાનો જીવ લેવાના ઇરાદાથી રનવે પર આવ્યો
સમાચાર એજન્સી ANSA અનુસાર, એવું માનવામાં આવે છે કે પીડિત પોતાનો જીવ લેવાના ઇરાદાથી રનવે પર આવ્યો હતો. તે વ્યક્તિ, જે ન તો મુસાફર હતો કે ન તો ઍરપોર્ટ કર્મચારી, સુરક્ષા કર્મચારીઓથી બચીને વિમાન તરફ દોડ્યો જ્યારે વિમાન પહેલેથી જ ચાલુ હતું.
ઍરપોર્ટ ઑપરેટરે ઘટનાની પુષ્ટી કરી
ઍરપોર્ટ ઑપરેટર SCBO એ "ટેક્સીવે પર સમસ્યા" ની પુષ્ટિ કરી અને ઉમેર્યું કે "અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે." અહેવાલો અનુસાર, વિમાન ટેકઑફની તૈયારી કરી રહ્યું હતું ત્યારે વિમાનના એન્જિનમાં ફસાઈ જવાથી તે વ્યક્તિનું મૃત્યુ થયું.
અકસ્માત બાદ ઍરપોર્ટ લગભગ બે કલાક માટે બંધ રાખવું પડ્યું
અકસ્માત બાદ ઍરપોર્ટ લગભગ બે કલાક માટે બંધ રાખવું પડ્યું હતું. આ સમય દરમિયાન, કુલ નવ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી અને છ ફ્લાઇટ્સનો રૂટ બદલાવવામાં આવ્યો હતો. જ્યારે ઍરપોર્ટ પરથી ઉડાન ભરતી આઠ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જે ફ્લાઇટ્સ લૅન્ડ થવાની હતી તેને બોલોગ્ના, વેરોના અને મિલાન માલપેન્સા ઍરપોર્ટ સહિત વિસ્તારના અન્ય ઍરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ વિમાન ઓછી કિંમતની ઍરલાઇન વોલોટીઆનું ઍરબસ A319 હતું. આ વિમાન બર્ગામોથી ઉત્તર સ્પેનના અસ્તુરિયાસ જઈ રહ્યું હતું. વિમાન બૉર્ડિંગ પૂર્ણ કર્યા પછી અને ટર્મિનલથી દૂર ગયા પછી તરત જ આ ઘટના બની હોવાનું કહેવાય છે.
તાજેતરમાં, પટના ઍરપોર્ટના પર આવી જ ઘટના ઘટી હતી. પાઇલટે એક એન્જિનમાં ટેકનિકલ ખામીની જાણ કરી હતી, ત્યારબાદ એટીસીએ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાનને સુરક્ષિત રીતે લૅન્ડ કરાવ્યું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E 5009 બુધવારે સવારે 8:45 વાગ્યે પટનાથી ઉડાન ભરી હતી અને સવારે 9 વાગ્યાની આસપાસ રનવે પર પાછી ફરી હતી. ઍરપોર્ટ વહીવટીતંત્રે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પટના ઍરપોર્ટના ડિરેક્ટર કેએમ નેહરાએ જણાવ્યું હતું કે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.