03 June, 2025 06:51 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
બિલાવલ ભુટ્ટો ઝરદારી (તસવીર: મિડ-ડે)
પાકિસ્તાને સોમવારે ભારત સાથેના તાજેતરના સંઘર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે તેના વૈશ્વિક રાજદ્વારી પ્રયાસોની વિગતો જાહેર કરી અને બન્ને દેશો વચ્ચેની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વાતચીતના મહત્ત્વ પર ભાર મૂક્યો. રાજદ્વારી સંપર્કમાં બે પ્રતિનિધિમંડળોનો સમાવેશ થાય છે, જે દેશ માટે સમર્થન મેળવવા માટે અલગ અલગ દિશાઓ તરફ કરશે, એમ ત્યાંના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા જેમાં 26 લોકોના મોત થયા હતા તે બાદ ભારતે તેના રાજદ્વારી સંપર્કના ભાગ રૂપે 33 વિશ્વ રાજધાનીઓમાં સાત બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળો મોકલ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. "પાકના વડા પ્રધાન શેહબાઝ શરીફના નિર્દેશ પર, એક ઉચ્ચ સ્તરીય બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળ 2 જૂન 2025 થી ન્યૂ યૉર્ક, વૉશિંગ્ટન ડીસી, લંડન અને બ્રસેલ્સની મુલાકાત લેશે," વિદેશ કાર્યાલય (FO) એ જણાવ્યું.
નવ સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી કરી રહ્યા છે. પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોમાં સંઘીય મંત્રી મુસાદિક મલિક, ભૂતપૂર્વ વિદેશ પ્રધાનો હિના રબ્બાની ખાર અને ખુર્રમ દસ્તગીર ખાન, ભૂતપૂર્વ પ્રધાનો સૈયદ ફૈઝલ અલી સબઝવારી અને શેરી રહેમાન, સેનેટર બુશરા અંજુમ બટનો સમાવેશ થાય છે. તેમાં બે ભૂતપૂર્વ વિદેશ સચિવો - જલીલ અબ્બાસ જીલાની અને તેહમીના જંજુઆનો પણ સમાવેશ થાય છે.
શરીફના વિશેષ સહાયક, સૈયદ તારિક ફાતેમીના નેતૃત્વમાં બીજું પ્રતિનિધિમંડળ 2 જૂનથી મોસ્કોની મુલાકાત લેશે. તેની રચનાની વિગતો શેર કરવામાં આવી નથી. FO એ જણાવ્યું હતું કે બન્ને પ્રતિનિધિમંડળ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જાહેર પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સંસદસભ્યો, થિંક ટેન્ક, મીડિયા અને ડાયસ્પોરાના નેતૃત્વ સાથે બેઠકોમાં જોડાશે. "આ મુલાકાતો પ્રતિનિધિમંડળોનો હેતુ પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો છે,” તેમાં કહેવામાં આવ્યું છે, અને ઉમેર્યું હતું કે તેઓ “એ વાત પર પણ ભાર મૂકશે કે સંઘર્ષ અને મુકાબલા કરતાં વાતચીત અને રાજદ્વારીને પ્રાથમિકતા આપવી જોઈએ”.
એફઓ અનુસાર, સિંધુ જળ સંધિની સામાન્ય કામગીરી તાત્કાલિક શરૂ કરવાની જરૂરિયાત પણ પ્રતિનિધિમંડળોના સંપર્કનો મુખ્ય વિષય હશે. પાકિસ્તાને ગયા મહિને ભારત સાથેના ચાર દિવસના સંઘર્ષ વિશે વિશ્વને માહિતી આપવા અને સંઘર્ષ અંગેના તેના દૃષ્ટિકોણને પ્રકાશિત કરવા માટે નિષ્ણાતોની એક ટીમ વિદેશી રાજધાનીઓમાં મોકલવાની જાહેરાત કરી હતી. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો, જેમાં ભારતે 7 મેના રોજ વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખા પર હુમલા કર્યા હતા. પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય પક્ષે પાકિસ્તાની કાર્યવાહીનો કડક જવાબ આપ્યો હતો.