22 July, 2024 03:12 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એજન્સી
બંગલાદેશમાં સરકારી નોકરીમાં અનામતના વિરોધમાં દેશમાં થયેલી હિંસા બાદ સુપ્રીમ કોર્ટે અનામતના ક્વોટામાં કાપ મૂકવાના હાઈ કોર્ટના ચુકાદાને પાછો ખેંચી લીધો છે. આમ દેશમાં પ્રદર્શનકારીઓની જીત થઈ છે. જોકે પ્રદર્શનકારીઓની જે માગણીઓ છે એમાંથી એક જ માગણી પૂરી થઈ છે. પોલીસ અને યુનિવર્સિટી સ્ટુડન્ટ્સની વચ્ચે ફેલાયેલી દેશવ્યાપી હિંસામાં ૧૫૧ લોકોએ જીવ ગુમાવ્યો છે.
બંગલાદેશમાં ૧૯૭૧માં સ્વતંત્રતા સંગ્રામમાં સેનાનીઓના પરિવારજનોને સરકારી નોકરીમાં મોટું આરક્ષણ આપવામાં આવ્યું છે. ૨૦૧૮માં સરકારે આ ક્વોટા ૩૦ ટકા કરી દીધો હતો. એ સમયે સ્ટુડન્ટ્સે એનો વિરોધ કરતાં સરકારે આ નિયમ પાછો ખેંચી લીધો હતો. જોકે આ કેસ હાઈ કોર્ટમાં ગયો અને હાઈ કોર્ટે આરક્ષણ લાગુ કરવાનો ચુકાદો આપતાં હિંસા ભડકી હતી. સ્ટુડન્ટ્સે માગણી કરી હતી કે આ આરક્ષણ ખોટું છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે આરક્ષણની મર્યાદા ૩૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધી હતી. બે ટકા અનામત લઘુમતી કોમ, ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગોને મળશે. ૯૩ ટકા બેઠકો યોગ્યતાના આધારે ભરવામાં આવશે.