30 August, 2026 08:56 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
તિબેટ-નેપાલની સીમા પર ફ્રેન્ડશિપ બ્રિજ પર આવેલી ઇમિગ્રેશન ઑફિસનું બિલ્ડિંગ પૂર પહેલાં (ડાબે), જેનું પૂર પછી નામોનિશાન નહોતું રહ્યું.
નેપાલ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂરમાં ભારે તબાહી મચી ગયાના ચાર દિવસ બાદ ચીનની બચાવટીમો ગઈ કાલે ગ્યિરૉન્ગ ઇમિગ્રેશન સેન્ટર પહોંચી હતી અને તેમના જણાવ્યા મુજબ આ સ્થળ ખંડેર બની ગયું છે. સદગુરુના ઈશા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા એક યાત્રાળુ જૂથના ૮૦ મેમ્બરો પણ દુર્ઘટના સમયે આ સેન્ટરમાં હતા અને તેમનો કોઈ અતોપતો નથી.
૨૧ સભ્યોની બનેલી ચાઇનીઝ બચાવટીમ એક શ્વાન સાથે પહોંચી હતી અને આ સ્થળ સુધી પહોંચવા માટે મુશ્કેલી ભરેલી મુસાફરી કરી હતી. ઇમિગ્રેશન સેન્ટર કે એની આસપાસની માળખાકીય સુવિધાઓમાંથી કંઈ બચ્યું નથી, વિસ્તારનો મોટો ભાગ કાટમાળ અને કાદવના જાડા સ્તરો હેઠળ દટાયેલો છે. આ સ્થળ સુધી જવાનો મોટા ભાગનો રસ્તો નાશ પામ્યો હોવાથી બચાવટીમના સભ્યોને પર્વતો અને ખીણો પાર કરી, દોરડાનો ઉપયોગ કરીને જંગલો અને ખડકોમાંથી પસાર થવું પડ્યું હતું અને આખરે તેઓ સરહદ સંકુલ સુધી પહોંચ્યા હતા. આ ટીમે કહ્યું હતું કે
ત્યાં સુધી જવાનો કોઈ રસ્તો નહોતો. આ બધું વર્જિન જંગલ જેવું હતું અને પહાડોમાં તીવ્ર ખડકો દેખાતા હતા. જ્યાં સુધી નજર પડી શકે ત્યાં સુધી સંકુલમાં ખંડેર સિવાય કંઈ નહોતું.
આ અઠવાડિયાની શરૂઆતમાં એક ભાવનાત્મક વિડિયોમાં ઈશા ફાઉન્ડેશનના સદગુરુએ હ્રદયદ્વાવક સ્વરમાં કહ્યું હતું કે ૧૯ દેશોની ૪૬ મહિલાઓ અને ૩૪ પુરુષોનું એક ગ્રુપ દુર્ઘટના સર્જાઈ એની થોડી મિનિટો પહેલાં ઇમિગ્રેશન ચેકપૉઇન્ટ પર પહોંચ્યું હતું. આ અસરગ્રસ્ત પ્રદેશમાં ઘણા કૈલાસયાત્રીઓ ગુમ છે. બચાવટીમો નાશ પામેલા રસ્તાઓ, ઇમારતો અને સંદેશાવ્યવહાર નેટવર્કમાંથી શોધખોળ કરી રહી છે.