26 June, 2026 05:30 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાનિસ્તાને કરેલા ડ્રોન હુમલાઓ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ગયા અઠવાડિયે, અફઘાન તાલિબાન દળોએ બે પાકિસ્તાની પ્રાંતોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISIS) ના ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલાઓ બાદ, પાકિસ્તાને ભારત પર નવા આરોપો લગાવ્યા છે. એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન, પત્રકાર અબસાર આલમે ખ્વાજા આસિફને અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા દવાઓના શિપમેન્ટ ના નામે ડ્રોન મોકલવાની અટકળો વિશે પૂછ્યું, અને પ્રશ્ન કર્યો કે આ દાવામાં કેટલી સત્યતા છે. જવાબમાં, ખ્વાજા આસિફે કહ્યું, "આમાં 100 ટકા સત્ય હોઈ શકે છે. મને આમાં કોઈ શંકા નથી, અને હું માનું છું કે ભારત ગુપ્ત રીતે નહીં પણ ખુલ્લેઆમ અફઘાનિસ્તાનમાં શસ્ત્રો મોકલી રહ્યું છે."
પાકિસ્તાન આ સમગ્ર ઘટનાને ભારત સાથે જોડીને એક નવો દાવો કરી રહ્યું છે. ગયા અઠવાડિયે, ભારતે સહાય તરીકે અફઘાનિસ્તાનને પાંચ ટન દવાઓ અને અન્ય તબીબ સાધનો મોકયા હતા. ભારત લાંબા સમયથી માનવતાવાદી સહાય તરીકે અફઘાનિસ્તાનને આવશ્યક દવાઓ પૂરી પાડે છે, અને તાજેતરનું શિપમેન્ટ આ પ્રયાસનો એક ભાગ હતું. ગુરુવારે - ભારતે દવા મોકલ્યાના એક દિવસ પછી - પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં ISIS ના ઠેકાણાઓને નિશાન બનાવીને ડ્રોન હુમલા કરવામાં આવ્યા. ત્યારબાદ, પાકિસ્તાને બન્ને ઘટનાઓને જોડવાનું શરૂ કર્યું. પાકિસ્તાનનો દાવો છે કે ભારતે દવાના શિપમેન્ટ હોવાનું કહી અફઘાનિસ્તાનને ડ્રોન મોકલ્યા અને આ ડ્રોનનો ઉપયોગ તેઓએ પાકિસ્તાનમાં હુમલા કરવા માટે કર્યો હતો.
પાકિસ્તાન તાજેતરના સમયમાં ભારત પર સતત ગંભીર આરોપો કરી રહ્યું છે. દરમિયાન, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં હુમલાઓ કર્યા હતા. પાકિસ્તાની સૈન્યએ કાબુલ અને કંદહાર સહિત વિવિધ સ્થળોએ બૉમ્બમારા કર્યા હતા. જવાબમાં, અફઘાનિસ્તાનની સત્તામાં રહેલા અફઘાન તાલિબાને કડક વલણ અપનાવ્યું છે. સરહદ પારથી ગોળીબાર બાદ, તાલિબાને ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાન સામે બદલો લેવા હુમલા કર્યા.
પોતાના દેશની આંતરિક સુરક્ષાના પડકારો અને બોર્ડર પર વધતા તણાવને સ્વીકારવાને બદલે, પાકિસ્તાન ભારત પર આરોપો કરી રહ્યું છે. ઘણા સશસ્ત્ર બળવાખોર જૂથો લાંબા સમયથી પાકિસ્તાની પ્રાંતો જેમ કે ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં સક્રિય છે. પાકિસ્તાની સેના અને સરકારી અધિકારીઓને આ પ્રદેશોમાં સતત હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાનથી થતા તાજેતરના ડ્રોન હુમલાઓ અંગે ભારત પર આરોપ લગાવ્યો છે. જોકે ભારત દ્વારા આ આરોપો સામે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.