ન્યુ યૉર્કના મેયરને ભારતના આરોપીની ચિંતા થઈ આવી

03 January, 2026 12:51 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ઝોહરાન મમદાનીએ દિલ્હી રમખાણના આરોપી ઉમર ખાલિદને નોટ લખીને કહ્યું, અમે તારી સાથે

ઝોહરાન મમદાનીએ દિલ્હી રમખાણના આરોપી ઉમર ખાલિદને નોટ લખી

ફેબ્રુઆરી ૨૦૨૦નાં દિલ્હી રમખાણોના કેસમાં લગભગ પાંચ વર્ષથી જેલમાં રહેલા સ્ટુડન્ટ-ઍક્ટિવિસ્ટ ઉમર ખાલિદને ન્યુ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ એકતા દર્શાવતી નોટ લખી છે. તારીખ વગરની આ નોટ ગુરુવારે ખાલિદના સાથી બનોજ્યોત્સ્ના લાહિરીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરી હતી. ઝોહરાન મમદાનીએ પહેલી જાન્યુઆરીએ ન્યુ યૉર્કના મેયર તરીકે શપથ લીધા હતા.

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ખાલિદની સપ્ટેમ્બર ૨૦૨૦માં ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હીમાં રમખાણ ભડકાવવાના કાવતરાના આરોપસર અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે તેણે આ આરોપોને સતત નકારી કાઢ્યા છે. ખાલિદને તેની બહેનનાં લગ્નમાં હાજરી આપવા માટે ડિસેમ્બરમાં કામચલાઉ જામીન આપવામાં આવ્યા હતા.

ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે જણાવ્યું હતું કે ‘હું પત્ની સાથે ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં મારી દીકરીને મળવા અમેરિકા ગયો હતો ત્યારે અમે મમદાનીને મળ્યાં હતાં. અમે મારા દીકરા સાથે શું થઈ રહ્યું છે અને તેના કેસની આસપાસની માહિતી વિશે પણ વાત કરી હતી. ત્યારે મમદાનીએ અમને કહ્યું હતું કે હું પણ આ કેસને ફૉલો કરું છું અને મેં જેલમાંથી ઉમરે મોકલેલા પત્રો વાંચ્યા છે.’

new york new delhi jawaharlal nehru university india international news news