13 August, 2026 09:07 AM IST | Chicago | Gujarati Mid-day Correspondent
રશિયા માટે લડશે ડી.વાય. ચંદ્રચૂડ
શહેરી વિસ્તારોમાં વૃક્ષોનું પ્રમાણ ઘટવાને કારણે લોકોના મૃત્યુદરમાં સીધો વધારો થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો જિયોહેલ્થ (GeoHealth) જર્નલમાં પ્રકાશિત એક નવા સંશોધનમાં થયો છે. અમેરિકાની નૉર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ૨૦૧૧થી ૨૦૨૧ દરમ્યાન શિકાગોનાં ૨.૨૦ લાખથી વધુ મૃત્યુના સત્તાવાર રેકૉર્ડ અને સૅટેલાઇટ દ્વારા લેવાયેલી વૃક્ષોની તસવીરોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં સામે આવ્યું છે કે જે વિસ્તારોમાં વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું હતું ત્યાં ખાસ કરીને ઉનાળાના ગરમ તાપમાન દરમ્યાન હૃદયરોગ, શ્વાસની બીમારીઓ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર મૃત્યુદર ઊંચો નોંધાયો હતો.
અભ્યાસના મુખ્ય સંશોધકોના જણાવ્યા મુજબ માત્ર નવા છોડ વાવવાથી તાત્કાલિક રાહત મળતી નથી કારણ કે નવાં વૃક્ષોને મોટો છાંયડો આપતાં વર્ષો લાગે છે. આથી મોટાં અને જૂનાં વૃક્ષોનું જતન કરવું અત્યંત મહત્ત્વનું છે. આંકડાકીય મૉડલ અનુસાર શિકાગોમાં દર વર્ષે આશરે ૧૪,૦૦૦ નવાં વૃક્ષો વાવીને ટ્રી કૅનપીમાં ૦.૦૩ ટકાનો મામૂલી વધારો કરવામાં આવે તો દર વર્ષે ૧૦૫ લોકોનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે.
નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે વૃક્ષો માત્ર શહેરની સુંદરતા વધારવાનું સાધન નથી, પરંતુ એમને જાહેર આરોગ્યના આંતરમાળખા તરીકે સ્વીકારવાં જરૂરી છે. વૃક્ષો હવા શુદ્ધ કરવાની સાથે બ્લડ-પ્રેશર અને માનસિક તનાવ ઘટાડે છે.