12 August, 2026 06:05 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
ઇમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના વડા ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગેની અટકળો અને ચિંતાએ ફરી જોર પક્ડયું હોવાનું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને દાવો કર્યો છે કે ઇમરાન ખાનનું મૃત્યુ જેલમાં થયું હશે. જોકે, આ દાવાની હજી સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, અને પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.
અમેરિકા સ્થિત પત્રકાર વજાહત સઈદ ખાને જણાવ્યું હતું કે ત્રણ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ તેમને કહ્યું હતું કે ઇમરાન ખાન હવે જીવિત નથી. તેમણે દાવો કર્યો હતો કે આ અધિકારીઓ રાવલપિંડીમાં જનરલ હૅડક્વોર્ટર (GHQ) સાથે સંકળાયેલા છે. વજાહતે કહ્યું, "ઇમરાન ખાન હવે આપણી વચ્ચે નથી." તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સેના અને આર્મી ચીફ અસીમ મુનીર ઇમરાન ખાનને આખા દેશથી છુપાવી રહ્યા છે. જોકે, પત્રકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમના સૂત્રો સ્વતંત્ર રીતે આ માહિતીની પુષ્ટિ કરી શક્યા નથી. તેમણે કહ્યું કે તેમને આ માહિતી બિનસત્તાવાર ચૅનલો દ્વારા મળી છે. વજાહતે કહ્યું, "આ અમારી રિપોર્ટિંગ છે. અમે GHQ પરથી, GHQ ખાતે તહેનાત વરિષ્ઠ અધિકારીઓ પાસેથી આ માહિતી એકત્રિત કરી છે." તેમણે ઉમેર્યું હતું કે આ માહિતી ઓછામાં ઓછા ત્રણ અધિકારીઓના વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે.
ઇમરાન ખાનના પરિવાર, વકીલો અને પક્ષના નેતાઓએ લાંબા સમયથી તેમને મળી ન શકવાની ફરિયાદ કરી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે પણ ઇમરાન ખાન માટે સ્વતંત્ર તબીબી તપાસની માગણી કરી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અને પીટીઆઈ નેતા સોહેલ આફ્રિદીએ દાવો કર્યો હતો કે બે મિલિયનથી વધુ લોકો રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના યુવાનોમાં ગુસ્સો વધી રહ્યો છે અને તેને કાબુમાં રાખવું મુશ્કેલ બની શકે છે. આફ્રિદીએ કહ્યું, "ઇમરાનને મળ્યા પછી કોઈ રાજકારણ વિશે વાત કરશે નહીં."
મંગળવારે, પીટીઆઈ સમર્થકો અને નેતાઓએ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને તેમના પૅન્ડિંગ કેસોની સુનાવણીમાં વિલંબ અંગે સુપ્રીમ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોર્ટ રજિસ્ટ્રાર તરફથી ખાતરી મળ્યા બાદ વિરોધ પ્રદર્શન પાછળથી રદ કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે કેસોની સુનાવણી આવતા અઠવાડિયા માટે સુનિશ્ચિત કરવામાં આવશે. હાલ માટે, ઇમરાન ખાનના મૃત્યુ અંગેના દાવાની ચકાસણી થઈ નથી. પાકિસ્તાન સરકાર તરફથી તેમની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઇમરાન ખાનનો મુદ્દો પાકિસ્તાનમાં વધુ હિંસક બને તેવી શક્યતા છે.