17 September, 2026 04:52 PM IST | New York | Gujarati Mid-day Online Correspondent
ઓસામા બિન લાદેન
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે ઘણા મુખ્ય આતંકવાદીઓ પાકિસ્તાનના દુર્ગમ વિસ્તારોમાં નહીં, પરંતુ શહેરોની અંદર અને સામાન્ય નાગરિકોની વસ્તીની વચ્ચે છુપાયેલા મળી આવ્યા હતા. ભારતના પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ અમેરિકામાં થયેલા 9/11ના હુમલા પાછળ જવાબદાર આતંકવાદીઓનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ઓસામા બિન લાદેન, ખાલિદ શેખ મોહમ્મદ, રમઝી બિનાલશિભ, વલીદ બિન અત્તાશ અને મુસ્તફા અહેમદ અલ-હવસાવીના નામનો ઉલ્લેખ કર્યો હતો. હરીશ પર્વતનેનીએ કહ્યું, "અલ-કાયદાના જે લીડર્સેએ 9/11ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું અને તેને અંજામ આપવાનો આદેશ આપ્યો હતો, તેઓ સરકાર કે કાયદાના અસ્તિત્વ વિનાના કોઈ દૂરના વિસ્તારમાં છુપાયેલા નહોતા." તેમણે ઉમેર્યું, "ઓસામા બિન લાદેને આ કાવતરાનો આદેશ આપ્યો હતો અને તેના માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. `ઑપરેશન નૅપ્ચ્યુન સ્પીયર` દરમિયાન તેને એક સુરક્ષિત સંકુલમાં શોધી કાઢવામાં આવ્યો હતો અને ઠાર મારવામાં આવ્યો હતો. આ સંકુલ એક વસ્તીવાળા અને સુરક્ષિત વિસ્તારમાં આવેલું હતું."
ભારતે UNSCમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે આ સંગઠનોને તેમની પ્રવૃત્તિઓ ચલાવવા માટે જરૂરી જગ્યા અને સમર્થન મળતું રહ્યું છે. ભારતે નોંધ્યું હતું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ `ઑપરેશન સિંદૂર`માં નિશાન પર હતા. મે 2025માં, ભારતે પાકિસ્તાનમાં આ સંગઠનો સાથે સંકળાયેલા હુમલાઓ માટે આતંકવાદીઓને તૈયાર કરવા માટે વપરાતા આતંકવાદી માળખા, તાલીમ શિબિરો અને સુવિધાઓને નિશાન બનાવી હતી.
હરીશ પર્વતનેનીએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો નવા નામ અને ઓળખ અપનાવીને UNSCના પ્રતિબંધોથી બચવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, "જે વાતાવરણે 9/11ના હુમલાના કાવતરાખોરોને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડ્યું હતું, તે જ વાતાવરણે ત્યારપછીના વર્ષોમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા અલ-કાયદા સાથે સંકળાયેલા સંગઠનોને પણ જગ્યા અને સમર્થન પૂરું પાડ્યું હતું." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આવા સુરક્ષિત આશ્રયસ્થાનોની સમસ્યાને નાબૂદ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક સાથે આવવું આવશ્યક છે. એ સુનિશ્ચિત કરવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે કે ભવિષ્યમાં આવા આતંકવાદીઓને કોઈપણ દેશ કે તેના લોકો વિરુદ્ધ તૈનાત કરવામાં ન આવે અને કોઈ પણ પરિવારે તેના સભ્ય કે પરિચિતને ગુમાવવો ન પડે."
આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાને ૨૦૨૩માં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS) સંગઠનમાં સભ્યપદ માટે સત્તાવાર માગણી કરી હતી; પરંતુ હજી સુધી એને એન્ટ્રી મળી શકી નથી. ગયા વર્ષે બ્રિક્સ સંગઠને ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન અને યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ને નવા સભ્યો તરીકે સ્વીકારીને સંગઠનનો વિસ્તાર કર્યો હતો. એમ છતાં ભારતના મજબૂત વીટો પાવર અને સખત વિરોધને કારણે પાકિસ્તાન આ વૈશ્વિક સંગઠનથી હજી પણ બહાર જ રહ્યું છે.