16 February, 2026 10:04 AM IST | California | Gujarati Mid-day Correspondent
સાકેત શ્રીનિવાસૈયા
મૂળ કર્ણાટકનો બાવીસ વર્ષનો સાકેત શ્રીનિવાસૈયા અમેરિકાના બર્કલીની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં કેમિકલ અને બાયોમૉલેક્યુલર એન્જિનિયરિંગનું ભણવા માટે ગયો હતો. જોકે ૯ ફેબ્રુઆરીથી તે ગુમ થઈ ગયો હતો. એ વખતે તેનું લૅપટૉપ અને બૅગ પાડોશીના ઘરની બહારથી મળી આવ્યાં હતાં. જોકે ગઈ કાલે સૅન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશ્યલ મીડિયા પર સાકેતનું શબ મળ્યું હોવાની પુષ્ટિ કરી હતી. છેલ્લી વાર તે બર્કલી હિલ્સના વિસ્તારમાં લેક અંજા પાસે દેખાયો હતો. ભારતીય દૂતાવાસે સાકેતના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને પરિવારને તમામ શક્ય સહાયતા આપવાની તત્પરતા બતાવી હતી. તેના પાર્થિવ દેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સાકેત શ્રીનિવાસૈયા એ છ લોકોમાંનો એક છે જેની પાસે હાઇપરલૂપ માટે માઇક્રોચૅનલ કૂલિંગ સિસ્ટમ અને એની પ્રક્રિયાના વિકાસની પેટન્ટ હતી.
સાકેતની સાથે તેની જ રૂમમાં રહેતા બનીત સિંહે કહ્યું હતું કે ‘તે ઇમર્જન્સી વીઝા પર પરિવારને ઇન્ડિયાથી અમેરિકા મોકલવા માટે ઑથોરિટીઝ સાથે વાતચીત કરી રહ્યો હતો. સાકેત છેલ્લાં બે વીક પહેલાં સુધી બરાબર હતો. એ પછી તેણે માત્ર ચિપ્સ અને કુકીઝ જ ખાધાં હતાં અને બહુ શાંત અને નિષ્ક્રિય જેવો થઈ ગયો હતો. એ પહેલાં બીજાં કોઈ જ નિશાન નહોતાં.’