નેપાલને ફરી ઊભું કરવા ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડે એવો નેપાલી અબજોપતિ ઉદ્યોગપતિનો અંદાજ

29 August, 2026 09:27 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

મરણાંક ૫૭૯ થયો : કુલ ૮૫ ભારતીયોને બચાવી લેવાયા, એમાંથી તામિલનાડુના ૨૧ લોકો દિલ્હી પહોંચ્યા;  ૩૨૦ ભારતીયો હજી અનટ્રેસેબલ, કુલ ૧૯૨૪ લોકો મિસિંગ

ખોવાયેલા પરિવારજનોની શોધ માટે કાઠમાંડુમાં ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હૉસ્પિટલની બહાર લગાવેલા ફોટોગ્રાફ્સમાં લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા હતા. અહીં એક જગ્યાએ મિસિંગ પરિવારજનોની તસવીરો લગાવવામાં આવી હતી અને બીજી જગ્યાએ મળી આવેલા મૃતદેહોની ઓળખ માટે હૃદય દ્રવી જાય એવી તસવીરો પણ મૂકવામાં આવી હતી.

નેપાલમાં આવેલા મહાપૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે એમ નેપાલમાં ચૌધરી ગ્રુપના ચૅરમૅન અને અબજોપતિ ઉદ્યોગપતિ બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું. આ મુદ્દે બોલતાં બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘બુધવારે આવેલા વિનાશક પૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં ઓછામાં ઓછા પાંચ અબજ ડૉલર (લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા)નો ખર્ચ થઈ શકે છે. જો અંતિમ ખર્ચ આ સ્તરે પહોંચે તો મને આશ્ચર્ય થશે નહીં. ફક્ત પૈસા જ નહીં, એમાં લાગતો સમય અને મુશ્કેલ ભૂગોળ છે. આપણી સામે એક મોટો મુદ્દો છે. પાવર-સ્ટેશનોને પણ નુકસાન થયું છે. અમારું ગ્રુપ આ પ્રયાસ પર જે રકમ ખર્ચ કરશે એ ૨૦૧૫માં આવેલા ભૂકંપ બાદ કરવામાં આવેલા ખર્ચ કરતાં વધારે હશે.’

ચૌધરી ગ્રુપ ૧૨ વ્યાવસાયિક ક્ષેત્રોમાં ફેલાયેલું છે, જેમાં ખોરાક અને ટેલિકૉમથી લઈને માળખાગત સુવિધાઓ અને બૅન્કિંગનો સમાવેશ થાય છે. ચૌધરી ગ્રુપ સરકાર, સ્થાનિક ભાગીદારો અને સેના સાથે કામ કરી રહ્યું છે અને આગામી બે દિવસમાં વિસ્થાપિત લોકો માટે પુનર્વસન કેન્દ્રો સ્થાપવા માટે એના સ્ટાફને એકઠો કર્યો છે. ત્યાર બાદ એ ઘરો બનાવવાનું અને અસરગ્રસ્ત વ્યવસાયો અને સ્કૂલોને ટેકો આપવાનું શરૂ કરશે. 

નેપાલના જળપ્રકોપમાં મરણાંક ૫૭૯ થયો

નેપાલના હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને નેપાલી આર્મીએ ઘૂંટણસમાણા કાદવમાંથી ખેંચીને બચાવ્યા હતા

શુક્રવારે સવારે ચીન તરફથી મળેલી ફરીથી ફ્લૅશ ફ્લડ આવવાની સંભાવનાની ચેતવણીને પગલે સવારે થોડાક કલાકો માટે રેસ્ક્યુ ઑપરેશન રોકાઈ ગયું હતું. જોકે બપોરે એક-દોઢ વાગ્યાના અરસામાં ફરીથી કામગીરી શરૂ થઈ ગઈ હતી. ગઈ કાલે રાત સુધીમાં રેસ્ક્યુ ટીમોએ ૫૭૯ લોકોનાં શબ કાઢ્યા હતા. બીજી તરફ મિસિંગની ફરિયાદોનું પ્રમાણ વધતાં એ આંકડો ૧૯૨૪ સુધી પહોંચ્યો હતો. એમાં ૩૨૦ ભારતીય નાગરિકો છે જે હજીયે મિસિંગ અથવા તો કૉન્ટેક્ટેબલ નથી. અન્ય ૫૩૭ વિદેશી નાગરિક, ૪૫ નેપાલી સેનાના જવાનો અને ૪૧ નેપાલી પોલીસો પણ મિસિંગ છે.

તિબેટ તરફ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૫૫૮ લોકો હજીયે મિસિંગ છે. એ મિસિંગ લોકોમાંથી ૨૬૦ વિદેશી નાગરિકો છે. વિદેશ મંત્રાલયના રિપોર્ટ મુજબ ચીનની સરહદ તરફ ૪૦૦ ભારતીયો ફસાયેલા છે, પરંતુ સુરક્ષિત છે. ચીનથી ૧૫૩ ભારતીયો ચીનથી સુરક્ષિત રીતે નેપાલ પહોંચી ચૂક્યા છે. 

પૂરપીડિતો માટે પ્રાર્થના

રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે ગઈ કાલે પુરીના દરિયાકિનારે નેપાલના લોકો માટે પ્રાર્થના કરતું એક રેતશિલ્પ રચ્યું હતું જેમાં પહાડી વિસ્તારમાંથી ધસમસતા પ્રવાહને કારણે સર્જાયેલી તારાજીનો ડીટેલ ચિતાર આપતું ચિત્રણ કર્યું હતું. એમાં કાદવમાં ધોવાઈ ગયેલાં ગામો, તૂટી ગયેલાં બહુમાળી મકાનો અને કાદવથી લથબથ ‌રસ્તાઓનું નિરૂપણ કર્યું હતું. સાથે જ નેપાલની આ કુદરતી આફત માટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. 

nepal floods in india international news world news news