31 August, 2026 09:20 AM IST | Mumbai | Rohit Parikh
ઇનાયા જર્નીઝના રવિ મોદી, ડેડ-બૉડીના ફોટો જોઈ રહેલા રિલેટિવ્સ.
નેપાલ-તિબેટ સરહદે ૨૬ ઑગસ્ટે આવેલા વિનાશક ફ્લડ બાદ હવે એવી હૃદયદ્રાવક તસવીર સામે આવી રહી છે કે મૃતદેહોની ઓળખ કરવી પણ બચાવકર્મીઓ માટે અતિ મુશ્કેલ બની ગઈ છે. રસુવા વિસ્તારમાં સર્જાયેલા આ ભયાનક પૂર અને કાટમાળમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો હજી લાપતા છે. આ ભયાનક સ્થિતિ વચ્ચે આખી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ આપતાં મુંબઈની ઇનાયા જર્નીઝના રવિ મોદી કહે છે, ‘અત્યાર સુધીમાં મારી નજર સમક્ષ નેપાલ પ્રશાસને ૮૦૦થી વધુ મૃતદેહોની તપાસ કરી છે, પરંતુ યાત્રાળુઓની ઓળખ માટે યાત્રાળુઓના રિલેટિવ્સે અને પ્રશાસને જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે એ કલ્પના બહારનો છે. કેટલાકના હાથ ગાયબ છે તો કેટલાકના પગ ગાયબ છે. એટલું જ નહીં, શરીરના અન્ય ભાગો પણ નથી. આ પ્રક્રિયા માટે મુંબઈથી ૬ જાણીતા ડૉક્ટરની ટીમ નેપાલ પહોંચી છે. આ અત્યંત ક્રૂર કુદરતી આફત છે. એક અહેવાલ મુજબ મૃતદેહોની ઓળખ માટે ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલિંગ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.’
૮૦૦થી વધુ બૉડી અમે ચેક કરી છે
મૃતદેહોની ઓળખ માટેની પ્રક્રિયા અત્યંત મુશ્કેલ બની છે અને ઘણા મૃતદેહોની સ્થિતિ એવી છે કે માત્ર ચહેરો જોઈને ઓળખ કરવી શક્ય નથી એમ જણાવતાં રવિ મોદીએ કહ્યું હતું કે ‘અમારી ટીમે ૮૦૦થી વધુ બૉડી ચેક કરી છે. ગુમ થયેલા મોટા ભાગના મુંબઈ અને ગુજરાતના ગુજરાતીઓ છે. કદાચ નેપાલ સરકારનો સત્તાવાર આંકડો અલગ હોઈ શકે છે. નેપાલમાં વાસ્તવિક આપત્તિનું પ્રમાણ પણ અત્યંત મોટું છે. મારા અંદાજ મુજબ આ કાળા કેરમાં ગુજરાતીઓ વધુ જોખમમાં છે. કૈલાસયાત્રા પર ગયેલા મુસાફરોમાં અંદાજે ૭૦ ટકા યાત્રાળુઓ ગુજરાતી હતા અને મોટા ભાગના મુંબઈ અને ગુજરાતમાંથી આવ્યા હતા.’
પુરાવો નહીં મળે તો મૃત જાહેર કરવા સિવાય વિકલ્પ નહીં
રવિ મોદીએ પરિસ્થિતિનું વધુ ગંભીર પાસું જણાવતાં કહ્યું હતું કે ‘જે લોકોનો કોઈ પત્તો નથી મળી રહ્યો અને તેમના જીવિત હોવાનો કોઈ પુરાવો પણ નથી તેમને અંતે મૃત જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડી શકે છે. આ નિર્ણય કેટલો પીડાદાયક હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક તરફ પરિવારજનો પોતાના સ્વજનના સમાચારની રાહ જોઈ રહ્યા છે અને બીજી તરફ બચાવદળો માટે હજારો લોકોમાંથી કોની ઓળખ થઈ શકે અને કોની નહીં એ સૌથી મોટો પડકાર બની ગયો છે.’