14 June, 2026 08:23 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
શાહબાઝ શરીફ
ઈરાનમાં મહિનાઓથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન ઐતિહાસિક શાંતિકરારના અંતિમ તબક્કામાં પહોંચી ગયાં હોવાનો દાવો પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કર્યો હતો. શનિવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં શરીફે જણાવ્યું હતું કે ‘બન્ને પક્ષો કરારના આખરી મુસદ્દા પર સહમત થઈ ગયા છે અને આગામી ૨૪ કલાકમાં આ ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર ઇલેક્ટ્રૉનિક હસ્તાક્ષર થવાની આશા છે. આ ડીલ બાદ આગામી સપ્તાહે ટેક્નિકલ સ્તરની વાટાઘાટો શરૂ થશે.’
જોકે પાકિસ્તાની વડા પ્રધાનના આ અતિ ઉત્સાહ પર ઈરાને ઠંડું પાણી રેડી દીધું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ સરકારી મીડિયાને જણાવ્યું કે રવિવારે કોઈ સાઇનિંગ થવાનું નથી. ઇસ્માઇલ બઘાઇએ અમેરિકા તરફથી જોવા મળતી અસહજતાનો ઉલ્લેખ કરીને ચોક્કસ તારીખ અંગેની અટકળો ન કરવા માટે અપીલ કરી હતી. જોકે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ પણ સ્વીકાર્યું છે કે આ MoU ફાઇનલાઇઝેશનની ખૂબ નજીક છે, પરંતુ ૨૪ કલાકમાં શક્ય નથી.
ટ્રમ્પ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીએ સ્વીકાર્યું હતું કે આગામી થોડા દિવસોમાં ડીલ થઈ શકે છે, પરંતુ વૉશિંગ્ટન આ કરાર વિશે ૧૦૦ ટકા આશ્વસ્ત નથી એવો અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો હતો.