25 June, 2026 09:28 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પીડિત મહિલા બાળકો સાથે
પાકિસ્તાન પોલીસે 54 વર્ષીય ફ્રેન્ચ મહિલા અને તેના પાંચ બાળકોને બચાવી લેવાનો દાવો કર્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેને એક દાયકાથી વધુ સમય સુધી બંધક બનાવી રાખી હતી, અને તે દરમિયાન તેને સતત ઘરેલુ હિંસાનો ભોગ બનવું પડ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની ઓળખ સિલ્વી યાસ્મીના તરીકે થઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં અફઘાન સરહદ નજીક પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્થિત બારા શહેરમાં એક માટીના ઘરમાંથી તેને બચાવી લેવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા વકાર અહેમદે જણાવ્યું હતું કે યાસ્મીનાના પતિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મહિલા અને તેના બાળકોને તેમની સુરક્ષા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યાસ્મીનાનો એક પુત્ર ઘરમાંથી ભાગી છૂટવામાં અને મદદ મેળવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચવામાં સફળ થયા પછી રેસ્ક્યૂ કામગીરી શક્ય બની હતી. આ માહિતીના આધારે કાર્યવાહી કરીને, પોલીસે મહિલા અને તેના બાળકોને બચાવ્યા. વકાર અહેમદે જણાવ્યું હતું કે તેના શરૂઆતના નિવેદનમાં, યાસ્મિનાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ તેનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું અને તે ખૂબ જ હિંસક સ્વભાવનો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મહિલા અને તેના બાળકો એક જર્જરિત રૂમમાં મળી આવ્યા હતા, અને યાસ્મિનાના ચહેરા પર ઇજાના નિશાન દેખાતા હતા.
પોલીસનું કહેવું છે કે યાસ્મિનાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે 2014 માં પાકિસ્તાન આવ્યા પછી તે મુક્ત રીતે જીવન જીવી શકી નથી. વકાર અહેમદે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના બાળકો ક્યારેય શાળામાં ગયા નથી. પોલીસ દ્વારા રેકોર્ડ કરાયેલ અને મીડિયા સાથે શૅર કરાયેલા એક વીડિયોમાં, યાસ્મિનાને અંગ્રેજી અને પશ્તો ભાષામાં પોલીસ અધિકારીઓનો આભાર માનતી જોવા મળે છે. તેણે બચાવી લેવા બદલ ખુશી વ્યક્ત કરી અને ફ્રાન્સ પાછા ફરવાની તેની ઇચ્છા વ્યક્ત કરી.
વકાર અહેમદે જણાવ્યું હતું કે યાસ્મિનાએ ફ્રાન્સ પાછા જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેના વતન પરત ફરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ અને ફ્રૅન્ચ દૂતાવાસ સાથે વાતચીત ચાલી રહી છે. જોકે, આ બાબતે ફ્રૅન્ચ દૂતાવાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ દરમિયાન, મહિલા અધિકાર સંગઠન ઔરત ફાઉન્ડેશનના ડિરેક્ટર શબીના અયાઝે યાસ્મીના સાથેના કથિત વર્તનની નિંદા કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ફ્રૅન્ચ દૂતાવાસ અને પાકિસ્તાની અધિકારીઓ પરિવારને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ કેસ અધિકારીઓ અને સમાજ બન્ને માટે જાગૃતિનો સંકેત હોવો જોઈએ.