19 April, 2026 12:54 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન શાંતિમંત્રણા નિષ્ફળ ગયા પછી પાકિસ્તાન ઍર ફોર્સે ઇઝરાયલી હુમલાના ડરથી ઈરાની પ્રતિનિધિમંડળને ૨૪ ફાઇટર જેટના સુરક્ષા-કવચ સાથે સુરક્ષિત પાછું મોકલ્યું હતું. પાકિસ્તાનને ડર હતો કે ઇઝરાયલ રસ્તામાં હુમલો કરશે અને ઈરાનના નેતાઓને ઉડાવી દેશે. આમ અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે ઈરાનના નેતાઓને પાછા મોકલવામાં આવ્યા હતા.
એક ન્યુઝ-એજન્સીના રિપોર્ટ અનુસાર ઈરાની પ્રતિનિધિમંડળને ડર હતો કે ઇઝરાયલ રસ્તામાં હુમલો કરીને તેમના વિમાનને નિશાન બનાવી શકે છે. ઈરાને સુરક્ષા માગી નહોતી અને સંભવિત હુમલાનો ઇનકાર પણ કર્યો નહોતો. આથી પાકિસ્તાને સામેથી સુરક્ષા-વ્યવસ્થા પૂરી પાડી હતી.
પાકિસ્તાન સુરક્ષા-દળોના જણાવ્યા મુજબ આ એક મોટું અને જટિલ ઑપરેશન હતું જેમાં બે ડઝન ફાઇટર જેટનો સમાવેશ થતો હતો. આ કાફલામાં ચીનમાં બનેલાં J-10 અને ઍરબૉર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (AWACS)નો પણ સમાવેશ હતો. આ સુરક્ષા-વ્યવસ્થા પાકિસ્તાનથી શરૂ કરીને તેહરાન સુધી પૂરી પાડવામાં આવી હતી. જોકે ઈરાની પ્રતિનિધિમંડળ તેહરાનને બદલે બીજા કોઈ ઍરપોર્ટ પર ઊતર્યું હતું.