31 March, 2026 11:13 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
અસદાબાદમાં પાકિસ્તાની મોર્ટાર શેલને કારણે મૃત્યુ પામેલા નાગરિકના ફ્યુનરલમાં પ્રાર્થના કરી રહેલા પરિવારજનો.
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી તરીકેની પોતાની ભૂમિકાને મજબૂત બનાવવા માટે સખત પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને મધ્યસ્થીની વાટાઘાટોમાં પહેલા દિવસે નિષ્ફળતા મળી હતી. એવું જણાતું હતું કે પાકિસ્તાનની કોઈ તૈયારી હતી જ નહીં. ૨૯ અને ૩૦ માર્ચ એમ બે દિવસ ચાલનારી આ આ બેઠકમાં સાઉદી અરેબિયા, ટર્કી અને ઇજિપ્તના વિદેશપ્રધાનોએ હાજરી આપી હતી. જોકે ઈરાન તરફથી કોઈ ઠોસ વાતચીત ન થતાં બે દિવસીય સમિટ પહેલા દિવસે શૂન્ય નિષ્કર્ષ સાથે આટોપાઈ ગઈ હતી. સાઉદી અરેબિયા અને ઇજિપ્તના અધિકારીઓ પહેલા જ દિવસે પાછા જતા રહ્યા હતા.
મુંબઈના ઈરાની વાણિજ્ય દૂતાવાસના સત્તાવાર નિવેદન મુજબ અમેરિકા સાથે ઈરાની વિદેશ મંત્રાલયની કોઈ સીધી વાતચીત નથી થઈ રહી. અમેરિકા બીજા દેશોના માધ્યમથી બિનજરૂરી શરતો મૂકી રહ્યું છે. પાકિસ્તાન જે વાતચીત કરાવવાની કોશિશ કરી રહ્યું છે એ એમનો પ્રયાસ છે, એમાં ઈરાન સામેલ નથી.
એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચેનું યુદ્ધ પૂરું કરવા માટે રવિવારે શાંતિવાર્તાનો દેખાડો ચાલી રહ્યો હતો અને બીજી તરફ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બૉમ્બ ફેંક્યા હતા. અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો હતો કે તેમના અસદાબાદ શહેરના બહારના વિસ્તારોમાં ભારે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ૧૬થી વધુ લોકો ઘાયલ થયા હતા.