18 August, 2026 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
૨૬/૧૧ ના આતંકી હુમલા કેસ (26/11 Mumbai Terror Attack Case) માં મુંબઈ (Mumbai) ની એક વિશેષ અદાલતે મહત્વપૂર્ણ કદમ ઉઠાવતાં પાકિસ્તાનમાં રહેલા છ આરોપીઓ સામે `ટ્રાયલ ઇન એબ્સિન્શિયા` (ગેરહાજરીમાં ખટલો) ચલાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ નિર્ણયને કારણે હાફિઝ સઈદ અને ઝાકી-ઉર-રહમાન લશ્વી સહિત મુખ્ય કાવતરાખોરો સામે લાંબા સમયથી અટકેલા કેસને અદાલતમાં તેમની શારીરિક હાજરી વિના પણ આગળ વધારી શકાશે.
૨૬/૧૧ ના મુંબઈ આતંકી હુમલા કેસમાં, મુંબઈની વિશેષ અદાલતે લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના સ્થાપક હાફિઝ સઈદ (Hafiz Saeed) અને મુખ્ય ઓપરેટિવ ઝાકી-ઉર-રહમાન લશ્વી (Zaki-ur-Rehman Lakhvi) સહિત છ પાકિસ્તાની આરોપીઓ સામે `ટ્રાયલ ઇન એબ્સિન્શિયા` (ગેરહાજરીમાં ખટલો) ચલાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભારતના નવા ફોજદારી કાયદા - `ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita - BNSS), ૨૦૨૩` ની કલમ ૩૫૬ નો ઉપયોગ કરીને અદાલતમાં શારીરિક હાજરી વિના વિદેશમાં ભાગેડુ આતંકી આકાઓ સામે મુકદ્દમો ચલાવવાની આ પ્રથમ ઘટના છે.
મુંબઈ પોલીસ (Mumbai Police) ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ સમક્ષ છ આરોપીઓ સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાની પરવાનગી માંગતી સત્તાવાર અરજી દાખલ કરી હતી. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે પુષ્ટિ કરી હતી કે, આ અરજી BNSS ની કલમ ૩૫૬ હેઠળ દાખલ કરવામાં આવી છે, જે અદાલતોને ધરપકડ કે પ્રત્યાર્પણથી બચતા જાહેર કરાયેલા ભાગેડુઓ સામે આરોપો ઘડવા, પુરાવા નોંધવા અને ચુકાદો આપવાની મંજૂરી આપે છે.
અરજીમાં નામ આપવામાં આવેલા છ પાકિસ્તાની નાગરિકોમાં લશ્કર ચીફ હાફિઝ મુહમ્મદ સઈદ, ઝાકી-ઉર-રહમાન લશ્વી, સાજિદ મીર, અબુ હમઝા, અબુ કહાફા અને મેજર ઈકબાલનો સમાવેશ થાય છે. આ છયેય વ્યક્તિઓ પર નવેમ્બર ૨૦૦૮ માં મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો, ફંડિંગ કરવાનો અને નિર્દેશન કરવાનો આરોપ છે, જેમાં ૧૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ક્રાઈમ બ્રાન્ચની અરજીની નોંધ લેતાં વિશેષ જજ વી. એમ. પઠાડે છયેય આરોપીઓને ૩૦ દિવસની અંદર અદાલત સમક્ષ હાજર થવા આદેશ આપતી જાહેર નોટિસ ફટકારી છે. કાયદાકીય જોગવાઈઓ અનુસાર, કોર્ટે આદેશ આપ્યો છે કે ભારત અને પાકિસ્તાનના બે મુખ્ય દૈનિક વર્તમાનપત્રોમાં આ નોટિસ પ્રકાશિત કરવામાં આવે, તેમજ મહારાષ્ટ્ર પોલીસની વેબસાઈટ અને સ્થાનિક સત્તાવાળાઓના નોટિસ બોર્ડ પર પણ મૂકવામાં આવે.
કાનૂની નિષ્ણાતોએ નોંધ્યું છે કે જો આ છયેય આરોપીઓ નિર્ધારિત સમયમર્યાદામાં હાજર થવામાં નિષ્ફળ જશે, તો વિશેષ અદાલત તેમને સત્તાવાર રીતે ભાગેડુ ગુનેગાર જાહેર કરશે અને તેમની ગેરહાજરીમાં જ આરોપો ઘડીને સરકારી સાક્ષીઓની જુબાની નોંધવાની પ્રક્રિયા આગળ વધારશે.
BNSS હેઠળ ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ કરવી એ ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખામાં એક મોટો પરિવર્તનકારી બદલાવ છે. અગાઉ, રદ કરાયેલા ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) હેઠળ, ભાગેડુ વિદેશી નાગરિકો સામેના કેસો પ્રત્યાર્પણ કે ધરપકડ થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે અટવાયેલા રહેતા હતા.
ગેરહાજરીમાં સત્તાવાર દોષસિદ્ધિ અને સજાની જોગવાઈ કરીને, ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ સરહદ પારના આતંકી આકાઓ સામે કાનૂની રીતે બંધનકર્તા ચુકાદાઓ મેળવવાનો ધ્યેય રાખે છે. સરકારી વકીલોએ જણાવ્યું હતું કે આ જોગવાઈ હેઠળ આખરી દોષસિદ્ધિથી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ અને દ્વિપક્ષીય પ્રત્યાર્પણ વિનંતીઓ સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું કાનૂની અને રાજદ્વારી પક્ષ વધુ મજબૂત બનશે.