30 March, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભિવંડી મહાનગરપાલિકાના જન્મ અને મૃત્યુ નોંધણી વિભાગમાંથી નાગરિકો સંબંધિત સાડાચાર લાખ જેટલા રેકૉર્ડ ભેદી રીતે ગાયબ થઈ ગયા હોવાની આશ્ચર્યજનક ઘટના બની છે. આ ગંભીર બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ મામલે માહિતી મળતાં મેયર નારાયણ ચૌધરીએ અધિકારીઓને કડક કાર્યવાહીની ચેતવણી આપતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો બે દિવસમાં આ રેકૉર્ડ્સ પાછા નહીં મળે તો જેકોઈ અધિકારી કે કર્મચારી આને માટે જવાબદાર હશે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જન્મ-મૃત્યુના આશરે ૪.૫૦ લાખ રેકૉર્ડ એક સૉફ્ટવેર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જે સૉફ્ટવેર કંપનીને આ કામગીરી સોંપવામાં આવી હતી એની સાથેનો કરાર પૂર્ણ થયા બાદ પણ કંપનીએ આ મહત્ત્વપૂર્ણ ડેટા મહાનગરપાલિકાને સોંપ્યા નથી. કંપનીના ચીફ માર્કેટિંગ ઑફિસર સંદીપ ગાડવેકરની ગેરહાજરીમાં તેમના લૉગ-ઇન આઇડી અને વન ટાઇમ પાસવર્ડ (OTP)નો ઉપયોગ કરીને અનેક બર્થ-ડેથ સર્ટિફિકેટ્સ અપાયાં હોવાની વાત બહાર આવી છે.