24 April, 2026 08:06 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું. ચૂંટણીપંચના આંકડા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં બારામતીમાં ૫૭.૪૮ ટકા અને રાહુરી બેઠક પર ૫૦.૭૪ ટકા મતદાન થયું હતું.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) દ્વારા અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તેમની આ પ્રથમ ચૂંટણી હોવા છતાં અજિત પવારના નિધન બાદ સહાનુભૂતિ અને પવાર પરિવારના ગઢ સમાન આ વિસ્તારમાં કોઈ મોટા રાજકીય પક્ષે તેમની સામે ઉમેદવાર ન ઉતારતાં સુનેત્રા પવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
સુનેત્રા પવાર, તેમના જેઠ શ્રીનિવાસ પવાર અને જેઠાણી શર્મિલા પવારે વહેલી સવારે કાટેવાડી મતદાનમથક પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહિલ્યાનગર જિલ્લાની રાહુરી બેઠક પર પણ આજે મતદાન યોજાયું હતું, જ્યાં સાંજ સુધીમાં ૫૦.૪૭ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.