તાડદેવમાં ૬.૫ કરોડ રૂપિયાના ઓન્લી ફૉર વેજિટેરિયન્સ ફ્લૅટે ભારે વિવાદ સર્જ્યો

13 August, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિંદેસેનાના નેતાએ સવાલ કર્યો કે શું મરાઠીઓને પ્રવેશ નથી?

આ પરિસ્થિતિ વિશે મરાઠી એકીકરણ સમિતિ સહિત વિવિધ સંગઠનોએ આકરો વિરોધ નોંધાવ્યો છે.

તાડદેવ ખાતે આવેલા ૬.૫ કરોડ રૂપિયાના 2-BHK ફ્લૅટના વેચાણ માટે મૂકવામાં આવેલી શરતે ભારે રાજકીય અને સામાજિક વિવાદ સર્જ્યો છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં આ બિલ્ડિંગમાં માત્ર ‘શાકાહારી’ લોકોને જ ફ્લૅટ ખરીદવાની કે રહેવાની પરવાનગી હોવાનો ઉલ્લેખ કરાતાં રહેઠાણમાં ભેદભાવનો મુદ્દો ફરી ગરમાયો છે.
ભાવેશ કાવરે નામના પ્રૉપર્ટી-ડીલર અને ઇન્ફ્લુઅન્સરે સોશ્યલ મીડિયા પર ૯૦૦ ચોરસ ફુટ કાર્પેટ એરિયા ધરાવતા આ ફ્લૅટની જાહેરાત મૂકી હતી. જોકે આ લિસ્ટિંગમાં સ્પષ્ટપણે ‘ફૉર વેજિટેરિયન ઓન્લી’ લખવામાં આવ્યું હોવાથી માંસાહારી લોકો સામે સીધો અપ્રત્યક્ષ મનાઈહુકમ દર્શાવવામાં આવ્યો છે. 
આ પ્રકારની આકરા નિયંત્રણોવાળી શરત સામે સોશ્યલ મીડિયા યુઝર્સે તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે. લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું ખોરાકની પસંદગીના આધારે રહેઠાણ મેળવવાનો અધિકાર નક્કી થઈ શકે? ઘણા યુઝર્સે આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને સ્થાનિક સત્તાવાળાઓને ટૅગ કરીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
આ વિવાદમાં ઝંપલાવતાં શિંદે જૂથની શિવસેનાના યુવા નેતા ગુરજ્યોત સિંહ કીરે આ શરતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને શું મરાઠીભાષીઓ માટે પ્રવેશબંધી છે એવો વેધક સવાલ ઊભો કર્યો હતો. 

મરાઠી એકીકરણ સમિતિએ નોંધાવ્યો વિરોધ, કાનૂની કાર્યવાહીની તૈયારી શરૂ કરી

આ પરિસ્થિતિ વિશે મરાઠી એકીકરણ સમિતિ સહિત વિવિધ સંગઠનોએ આકરો વિરોધ નોંધાવ્યો છે. મરાઠી એકીકરણ સમિતિના પ્રમુખ ગોવર્ધન દેશમુખે ‘મિડ-ડે’ કહ્યું હતું કે આ બાબતે અમે મુંબઈના પોલીસ કમિશનરની મુલાકાત લઈને સંબંધિત એજન્ટ ભાવેશ કાવરે સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આવી ભેદભાવપૂર્ણ નીતિઓ સામે ત્વરિત અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મુંબઈના માર્ગો પર આ અસંતોષ મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

mumbai news mumbai tardeo eknath shinde political news