09 September, 2026 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ધારાવીના ઓમ શક્તિ વેલ્ફેર ફાઉન્ડેશનની ૧૨ ફુટ ઊંચી ગણેશમૂર્તિને મંડપમાં પહોંચે એ પહેલાં અકસ્માત નડ્યો હતો. બૈલબાજારથી ધારાવી લઈ જતી વખતે કુર્લામાં સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે ટ્રૉલી સંતુલન ગુમાવતાં ગણપતિબાપ્પાની ૧૨ ફુટ ઊંચી મૂર્તિ પડી ગઈ હતી. આ અકસ્માતમાં સંતોષ જયેશ્વર અને રોહિત જયેશ્વર નામના બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બન્નેને સારવાર માટે ભાભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ મૂર્તિ ઓમ શક્તિ વેલ્ફેર ફાઉન્ડેશનની હતી અને પ્રેમનગરચા મહારાજા ગણેશમંડળ સાથે સંકળાયેલી હતી. આ ઘટના બાદ ખંડિત થયેલી મૂર્તિનું નજીકના શીતલ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કુર્લામાં થયેલા અકસ્માતને પગલે થોડા સમય અગાઉ ભુલેશ્વરમાં મંડપમાં પહોંચતાં પહેલાં ગણપતિની મૂર્તિ પડી જતાં બે યુવકોએ જીવ ગુમાવ્યો હતો એ દુર્ઘટનાની યાદ તાજી થઈ હતી.