27 March, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઇકલ પર જઈ રહેલા શ્રીનિવાસ તાંદળે અને પાછળ આવતી કાર.
કલ્યાણમાં ૧૭ વર્ષના ટીનેજરે પૂરઝડપે કાર દોડાવીને સાઇકલ પર જતા ૪૨ વર્ષના વેપારીને ઉડાડતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે ટીનેજરને પકડીને જુવેનાઇલ કોર્ટમાં હાજર કર્યો હતો. એ કાર ટીનેજરની મમ્મીના નામે રજિસ્ટર્ડ હોવાથી તેમની સામે ઍક્શન લેવી કે નહીં એના પર પોલીસ ચર્ચાવિચારણા કરી રહી છે. આ ઘટના ત્યાં લગાડાયેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી અને એનો વિડિયો વાઇરલ થયો હતો.
આ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રીનિવાસ તાંદળે કલ્યાણના સૌથી જૂના કાપડના સ્ટોર સાથે સંકળાયેલા છે. હાલમાં વજન વધી ગયું હોવાથી તેઓ સાઇક્લિંગ કરીને વજન ઘટાડીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા એવું તેમના પરિવારે જણાવ્યું હતું. ઘટનાના આગલા દિવસે જ તેમણે નવી સાઇકલ ખરીદી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત કલ્યાણ રિંગ રોડના ઉલ્હાસ નદીની બાજુમાં બાંધકામ હેઠળના પોર્શનમાં થયો હતો જે હજી સુધી ટ્રાફિક માટે ખુલ્લો નથી મુકાયો.
CCTV કૅમેરામાં ઝિલાઈ ગયેલી એ ઘટનાના ફુટેજમાં ફુલ સ્પીડમાં આવતી કાર જોવા મળે છે જે ઘટનાસ્થળે શ્રીનિવાસ તાંદળેને જોશભેર અડફેટમાં લે છે. જોરદાર ટક્કર વાગતાં શ્રીનિવાસ તાંદળે હવામાં ઊછળીને બાજુની ફુટપાથ પર પટકાયા હતા એને કારણે તેમનું તરત મૃત્યુ થયું હતું. ઘટના પછી ટીનેજર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને પછીથી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માતને ‘નાનો અકસ્માત’ ગણાવ્યો હતો જેનાથી લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. જોકે આખરે પોલીસે તેને ઝડપી લીધો હતો અને જુવેનાઇલ કોર્ટમાં હાજર કર્યો હતો.