ધ કેરલા સ્ટોરી 2 મૂવીની આક્રમક અસર

18 March, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈના થિયેટરમાં મુસ્લિમોનો બહિષ્કાર કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ

પ્રતીકાત્મક તસવીર

ધર્માંતરણનો મુદ્દો અત્યારે આખા રાજ્યમાં ગરમાયો છે, એમાં પણ ‘ધ કેરલા સ્ટોરી 2’ મૂવીમાં બતાવાયેલી વાસ્તવિકતાને લીધે લોકોમાં ધર્માંતરણ અને લવ જેહાદના નામે રોષ વધ્યો છે. આખા મુદ્દાને અમુક લોકોએ કેવી દિશા આપી છે એ જણાયું વસઈના એક સિનેમા હૉલમાં. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ‘ધ કેરલા સ્ટોરી 2’ જોયા બાદ લોકો સૂત્રોચ્ચાર કરતા અને મુસ્લિમોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેતા દેખાય છે. 

કૉન્ગ્રેસના સંસદસભ્ય સૈયદ હુસેન દ્વારા વાઇરલ કરવામાં આવેલો વિડિયો ૧૦ માર્ચે વસઈના એક થિયેટરમાં શૂટ કરવામાં આવ્યો હોવાના દાવા પર પ્રતિક્રિયા આપતાં મીરા-ભાઈંદર વસઈ-વિરાર (MBVV) પોલીસ કમિશનરેટના એક વરિષ્ઠ પોલીસ-અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે વિડિયોની સત્યતા હજી સુધી જાણી શકાઈ નથી.

પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને ખાતરી નથી કે વિડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેમ જ કેટલાંક અનૈતિક તત્ત્વો દ્વારા પણ આવો વિડિયો શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે.’
૧૦ માર્ચે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2’ના ફ્રી સ્ક્રીનિંગ પછી વસઈમાં દર્શકોએ મુસ્લિમોના આર્થિક અને સામાજિક બહિષ્કાર માટે સામૂહિક શપથ લીધા હોવાનું કહેવાય છે.

મીરા ભાઈંદર-વસઈ વિરાર પોલીસ કમિશનરેટના સાઇબર પોલીસ સ્ટેશન તરફથી આ પોસ્ટને કારણે કોમી રમખાણ થવાની સંભાવના હોવાથી મોહમ્મદ ઝુબેર નામના યુઝરને તેના પેજ પરથી પોસ્ટ તાત્કાલિક હટાવવાની અપીલ કરી છે.

mumbai news mumbai vasai social media the kerala story