07 September, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
મુંબઈગરાઓની ધાર્મિક ભાવના અને માગણીને ધ્યાનમાં લઈને જુહુમાં આવેલા ઇસ્કૉન મંદિરની બાજુમાં બની રહેલા મેટ્રો 2Bના સ્ટેશનને ‘હરે રામ હરે ક્રિષ્ના મંદિર’ નામ આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એ માટે મંજૂરી આપી છે. તેમણે કહ્યું હતું કે એ પ્રસ્તાવ હવે આગળ કેન્દ્ર સરકારની રેલવે મિનિસ્ટ્રીને અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યો છે. મેટ્રો 2Bના ડી. એન. નગરથી ESIC નગરના સ્ટ્રેચ પર આવેલા આ સ્ટેશનને ‘હરે રામ હરે ક્રિષ્ના મંદિર’ નામ આપવાની સત્તાવાર માગણી જોગેશ્વરીના સંસદસભ્ય રવીન્દ્ર વાયકરે એકનાથ શિંદે રાજ્યના મુખ્ય પ્રધાન અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રધાન હતા ત્યારે જ કરી હતી. એકનાથ શિંદેએ આ બાબતે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના કમિશનર સંજીવ મુખરજીને પણ વાત કરી હતી અને ત્યાર બાદ પ્રસ્તાવને સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા મંજૂર કરીને કેન્દ્ર સરકારની રેલવે મિનિસ્ટ્રીને અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યો છે.