02 June, 2026 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
મુંબઈ (Mumbai) ના આરે કોલોની (Aarey Colony) વિસ્તારમાં આવેલી હઝરત સૈયદ બરકત અલી શાહ પીર બાબા દરગાહ (Hazrat Syed Barkat Ali Shah Pir Baba Dargah) પર મંગળવારે એક મોટી ડેમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા (BMC)ના અધિકારીઓ અને પોલીસ (Mumbai Police)એ સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકારી જમીન પર કથિત રીતે કરવામાં આવેલા ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ આ એક્શન (Aarey Colony dargah demolition) લેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આસપાસના પરિસરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
આરે કોલોનીમાં આવેલી હઝરત સૈયદ બરકત અલી શાહ પીર બાબા દરગાહ ઘટનાસ્થળ પરથી સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે, અનેક બુલડોઝર દરગાહના માળખાના ભાગોને તોડી રહ્યા છે અને પાલિકાના અધિકારીઓ આ સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખી રહ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, તેમજ બેરિકેડ્સ અને સુરક્ષા ચેકપોઇન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
અધિકારીઓના હવાલાથી સામે આવેલા અહેવાલો મુજબ, દરગાહનું સંચાલન કરતા ટ્રસ્ટને અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી. જો કે, આ નોટિસોનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો અને સત્તાધિકારીઓ સમક્ષ જમીનની માલિકી અથવા મંજૂરીના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા નહોતા, ત્યારબાદ આ ડેમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિવાદિત જમીન સરકારી માલિકીની છે અને તે પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા આરે કોલોની વિસ્તારમાં આવેલી છે.
સત્તાવાળાઓનો દાવો છે કે આ માળખું આશરે ૭૦,૦૦૦ ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાયેલા મોટા અતિક્રમણનો એક ભાગ છે. આ જમીન ડેરી વિકાસ વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને મુંબઈના સંરક્ષિત ગ્રીન ઝોનમાં સ્થિત છે, જેને નજીકના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP)નો જ એક ભાગ માનવામાં આવે છે.
અધિકારીઓએ દલીલ કરી હતી કે આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ એ પર્યાવરણીય નિયમો અને શહેરના જંગલ વિસ્તાર તેમજ પર્યાવરણીય સંતુલનને બચાવવા માટે આપવામાં આવેલા કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે. વહીવટીતંત્રનું કહેવું છે કે સરકારી જમીન અને સંવેદનશીલ પર્યાવરણીય ઝોનની સુરક્ષા માટે ગેરકાયદેસર બાંધકામો સામે આવી કાર્યવાહી જરૂરી છે.
બાંદ્રા (Bandra) ગરીબ નગર (Garib Nagar) વિસ્તારમાં એક કથિત ગેરકાયદેસર મસ્જિદના બાંધકામ સામે લેવાયેલા એક્શન દરમિયાન ભારે હોબાળો અને પથ્થરમારો થયો હતો. તે ઘટનાના થોડા જ દિવસો બાદ આરે કોલોનીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉના તણાવને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે આરેમાં ઓપરેશન શરૂ કરતા પહેલા વ્યાપક સાવચેતીના પગલાં લીધા હતા.
સુરક્ષા એજન્સીઓએ અગાઉ આ કથિત અતિક્રમણ અંગે લાલ આંખ કરી હતી અને વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે કોઈ પણ અમલીકરણની કાર્યવાહી દરમિયાન તણાવ ઊભો થઈ શકે છે. જેના પરિણામે, મુંબઈ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ડેમોલિશનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે મજબૂત હાજરી જાળવી રાખી હતી.
આ સમગ્ર ઓપરેશન કાનૂની પ્રક્રિયાઓ અને સરકારી જમીન પરના અતિક્રમણ અંગે કોર્ટના આદેશો અનુસાર હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના પ્રારંભિક તબક્કા દરમિયાન કાયદો અને વ્યવસ્થાના ભંગની કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. આગામી દિવસોમાં તોડી પાડવાની અને જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા આગળ વધશે તેમ સત્તાવાળાઓ પરિસ્થિતિ પર સતત અને નજીકથી નજર રાખશે તેવું જાણવા મળ્યું છે.