06 May, 2022 11:26 AM IST | Mumbai | Prajakta Kasale
બીકેસી ખાતે ૧૪ એપ્રિલે મીઠી નદીની સફાઈનું પરીક્ષણ કરી રહેલા બીએમસીના અધિકારીઓ (તસવીર : શાદાબ ખાન)
ચોમાસા આડે માંડ એક મહિનો છે ત્યારે બીએમસીએ નાળાંની સફાઈના એના ટાર્ગેટનું માત્ર ૩૪ ટકા કામ પૂરું કર્યું છે. સુધરાઈના કમિશનર આઇ. એસ. ચહલે તેમની ટીમને નાળાંની સફાઈનું કામ ડબલ શિફ્ટમાં કરી ૧૫ મે સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં આ કામ ૩૧ મે સુધીમાં પૂરું થાય એવી પણ સંભાવનાઓ જણાઈ રહી નથી. ભારે વરસાદ વખતે ઘણી વાર ભરાયેલાં નાળાંઓને કારણે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે.
સામાન્ય રીતે નાળાંની સફાઈનું કામ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં શરૂ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે એ વિલંબિત થયું હતું. કૉર્પોરેશનની ટીમનો કાર્યકાળ ૭ માર્ચે પૂર્ણ થતાં
પહેલાં બીએમસીની સ્થાયી સમિતિએ શહેરના કુલ ૭ ઝોનમાંથી માત્ર એક જ ઝોનના નાળાની સફાઈની દરખાસ્તને મંજૂરી આપી હતી. ત્યાર બાદ બીએમસી ચીફે બાકીની દરખાસ્તો મંજૂર કરીને ચોથી એપ્રિલથી નાળાંની સફાઈનું કામ શરૂ કરાવ્યું હતું. મીઠી નદી સાફ કરવા સહિત ચોમાસા પહેલાં નાળાંની સફાઈ માટે બીએમસી ૧૬૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. મીઠી નદીમાંથી કાપ કાઢવાનું લગભગ ૮૦ ટકા કામ પૂર્ણ કરાયું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.
ઝોન મુજબ ડિસિલ્ટિંગ
કામ પૂર્ણ કરાયું
(ટનમાં) ટકાવારી
સાઉથ સિટી ૪૫૨૧૩ ૧૬ ટકા
ઈસ્ટર્ન સબર્બ ૧.૧૦ લાખ ૪૩ ટકા
પશ્ચિમ પરાં ૧.૯૩ લાખ ૩૪ ટકા
મીઠી નદી ૨.૨૦ લાખ ૮૦ ટકા