28 February, 2026 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક (MSCB)માં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધિત કેસમાં સિટી પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) દ્વારા રજૂ કરાયેલો ક્લોઝર રિપોર્ટ કોર્ટે સ્વીકાર્યો છે. આ રિપોર્ટમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય આરોપીઓને ક્લીન ચિટ આપવામાં આવી. કોર્ટે ઍક્ટિવિસ્ટ અણ્ણા હઝારે અને અન્ય લોકો દ્વારા ક્લોઝર રિપોર્ટને પડકારતી વિરોધ અરજીઓને પણ ફગાવી દીધી.
સંસદસભ્યો અને વિધાનસભ્યોને લગતા કેસોના ખાસ ન્યાયાધીશ મહેશ જાધવે EOWએ દાખલ કરેલો રિપોર્ટ સ્વીકાર્યો જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકરણમાં કોઈ ક્રિમિનલ કેસ બન્યો નથી જેથી અજિત પવારના અવસાનના એક મહિના બાદ તેમને આ કેસમાં ક્લીન ચિટ મળી છે.
કેસની વિગત મુજબ જિલ્લા અને સહકારી બૅન્કો દ્વારા કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઓ, સ્પિનિંગ મિલો અને અન્ય સંસ્થાઓને નિયમોનું પાલન કર્યા વિના લોન-ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું હતું. ૨૦૦૭થી ૨૦૧૭ દરમ્યાન લોન-ડિસ્ટ્રિબ્યુશનમાં અનિયમિતતાને કારણે રાજ્યની તિજોરીને ૨૫,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું. બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશો બાદ ૨૦૧૯માં તપાસ શરૂ થઈ હતી. મહા વિકાસ આઘાડી (MVA) સરકારમાં અજિત પવાર નાણાપ્રધાન હતા ત્યારે EOW એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ ફોજદારી ગુનો બન્યો નથી.
૨૦૨૪ જાન્યુઆરીથી અજિત પવારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ મહાયુતિ ગઠબંધનમાં જોડાયાના મહિનાઓ પછી એજન્સીએ ફરી એક વાર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો જેમાં ફરી એક વાર અજિત પવારને ક્લીન ચિટ અપાઈ.