23 February, 2026 09:56 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
કેન્દ્રના સિવિલ એવિએશનના રાજ્યપ્રધાન અને પુણેના સંસદસભ્ય મુરલીધર મોહોળે ગઈ કાલે જણાવ્યું હતું કે જે વિમાન-દુર્ઘટનામાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારનું મૃત્યુ થયું હતું એનો પ્રાથમિક અહેવાલ ૨૮ ફેબ્રુઆરીએ અથવા એ પહેલાં બહાર પાડવામાં આવશે. પત્રકારો સાથે વાત કરતાં મુરલીધર મોહોળે કહ્યું હતું કે પ્રારંભિક અહેવાલ ૨૮ ફેબ્રુઆરીએ અથવા એ પહેલાં (ઘટનાના દિવસથી) એક મહિના પહેલાં બહાર આવશે.
NCP (SP)ના વિધાનસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે વિમાનની માલિકીની કંપની સાથે જોડાયેલી ગેરરીતિઓ અને પ્લેનમાં ટેક્નિકલ ખામીઓ હોવાનો દાવો કરવા માટે ઘણી પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને આ ઘટના અંગે તેમણે શંકા પણ વ્યક્ત કરી હતી.
રોહિત પવારે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી હતી કે નાગરિક ઉડ્ડયનપ્રધાન કે. રામમોહન નાયડુને દુર્ઘટનાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપવાનું કહેવામાં આવે. જોકે આ બાબતે મુરલીધર મોહોળે કહ્યું હતું કે ‘હું કોઈની ટિપ્પણી પર ટિપ્પણી કરવા માગતો નથી. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ પહેલેથી જ એક પ્રેસ-નિવેદન બહાર પાડ્યું છે જેમાં તેમણે આ કેસની તપાસ સંબંધિત દરેક બાબત પર સ્પષ્ટતા કરી છે. DGCA તરફથી ઇશ્યુ કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પ્રારંભિક અહેવાલ ૨૮ ફેબ્રુઆરી પહેલાં જાહેર કરવામાં આવશે. તપાસ વિશેની દરેક બાબત બધાની સામે રાખવામાં આવી છે અને અહેવાલ જાહેર કરવામાં આવશે.’