12 January, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BVAના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રનું ભવ્ય મંદિર વિરારમાં બનાવ્યું હોવા છતાં ભગવાનના નામે મત માગ્યા નથી
વસઈ-વિરાર આજે સર્વ ધર્મ સમભાવ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બનીને ઊભર્યું છે. અહીં તમામ જાતિ અને ધર્મની લાગણીઓને સન્માન આપીને શહેરના વિકાસ માટે બહુજન વિકાસ આઘાડી (BVA) દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરને પર્યટનસ્થળ તરીકે, વિવિધ રીતે વિકાસ સાથે જાતિ-ધર્મની પરંપરાઓ અને વસઈ તાલુકાના ઇતિહાસને જાળવી સહઅસ્તિત્વની ભાવનાને આગળ વધારવાનો આ અભિગમ નાગરિકોના મનમાં વસી ગયો હોવાથી BVA સાથે લોકો અડીખમ ઊભા રહેતા જોવા મળી રહ્યા છે.
BVAના નેતૃત્વ હેઠળ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, પાણીપુરવઠો, પર્યટન સ્થળ, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ, મહિલાઓ માટે જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં વિવિધ ધર્મોના લોકો રહેતા હોવા છતાં ક્યારેય ધાર્મિક તનાવ અને મહિલાઓની સુરક્ષા જેવા પ્રશ્નો ઊભા ન થાય એ માટે BVA હંમેશાં તત્પર રહે છે. અન્યો ચૂંટણી આવે ત્યારે રામના નામે અને મંદિરના નામે હિન્દુવાદી હોવાનો પ્રચાર કરે છે, જ્યારે BVAના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રનું ભવ્ય મંદિર વિરારમાં બનાવ્યું હોવા છતાં ભગવાનના નામે મત માગ્યા નથી. પક્ષે જણાવ્યું હતું કે અન્યોની જેમ ધર્મના નામે વિભાજન કરીને મત મેળવવા કરતાં એ વિકાસનાં કામો અને સર્વ ધર્મને લઈને ચાલીને અધિકારપૂર્વક મત મેળવવામાં માને છે. એથી વસઈ-વિરારની જનતા ભાવનાત્મક મુદ્દાઓથી પ્રભાવિત થઈને નહીં પણ સ્થાનિક અને દરરોજ મદદે આવતી BVAના પોતાના હકના લોકોને ચૂંટીને લાવવામાં મત આપે છે.