ભીમજીભાઈ ભાનુશાલીની નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની કરવેરા અને GST સમિતિના સભ્યપદે નિયુક્તિ

04 August, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોંપાયેલા ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં યોગદાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

ભીમજીભાઈ ભાનુશાલી

નવી મુંબઈની APMC માર્કેટસ્થિત દાણાબજારની ૧૨૫ વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત ધી ગ્રેન, રાઇસ અૅન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA)ની વર્ષોની સિદ્ધિને ધ્યાનમાં લઈ અેના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીને કેન્દ્ર સરકાર દ્વારા નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડ (NTWB) હેઠળ રચાયેલી કરવેરા અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિની રચના NTWBના આદેશને આગળ ધપાવવા માટે કરવામાં આવી છે જેનો વ્યાપક ઉદ્દેશ કેન્દ્રિત ચર્ચા-વિચારણા અને ક્ષેત્ર-વિશિષ્ટ ભલામણો દ્વારા રાષ્ટ્રીય છૂટક વેપાર નીતિના નિર્માણમાં યોગદાન આપવાનો છે. તેમની આ નામાંકન પ્રક્રિયા બોર્ડ પ્રત્યેના તેમના વિશાળ અનુભવ અને મૂલ્યવાન યોગદાનની માન્યતા સ્વરૂપે છે. તેમની સક્રિય સહભાગિતા અને સૂચનો સમિતિને એની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવામાં તથા એને સોંપાયેલા ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં યોગદાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભીમજીભાઈની કરવેરા અને GST સમિતિના સભ્ય તરીકે થયેલી નિયુક્તિને કારણે વેપારીઓની કનડગતના સરળ ઉકેલ થઈ શકશે. વેપારીઓના પ્રશ્નો અને અેના ઉકેલ માટે NTWB અને એના ચૅરમૅન સુનીલ સિંધી હંમેશાં કાર્યરત હોય છે. અે જ રીતે અમે પણ અમારું યોગદાન આપીશું અને વેપારીઓના પ્રશ્નો હલ કરવા હંમેશાં પ્રયત્નશીલ રહીશું અેમ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.      

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news apmc market navi mumbai