17 January, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસની આરતી ઉતારતાં તેમનાં પત્ની અમૃતા અને પપ્પાને ભેટી પડેલી દીકરી
વિરોધ પક્ષના મહા વિકાસ આઘાડી (MVA)માં વિભાજન અને કૉન્ગ્રેસ તથા શિવસેના (UBT)નું અલગ-અલગ થઈને લડવું તેમ જ મજબૂત યોજનાના અભાવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડપણ હેઠળની મહાયુતિને જીતવામાં મદદ કરી હતી અને ૪૫ વર્ષ પછી હવે BJP પહેલી વાર ભારતની સૌથી શ્રીમંત સુધરાઈમાં શાસન કરવા તૈયાર છે. BMCમાં શિવસેનાના ૨૫ વર્ષના શાસનનો અંત આવ્યો છે. ૨૦૧૭માં BMCની ચૂંટણી યોજાઈ હતી જેનો ૨૦૨૨માં કાર્યકાળ પૂરો થયો હતો. ત્યાર બાદ BMCમાં ઍડ્મિનિસ્ટ્રેટરનું શાસન છે.
BJP અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના સાથે ચૂંટણી લડ્યાં હતાં, જ્યારે ઠાકરેબ્રધર્સની શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ભેગી મળીને લડી હતી.
રાજ્ય સ્તરે શિવસેના (UBT) અને NCP (SP) સાથે મહા વિકાસ આઘાડી (MVA)નો ભાગ કૉન્ગ્રેસ, પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન આઘાડી (VBA) અને રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) સાથે જોડાયેલાં છે.
મૂળ શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન તથા કૉન્ગ્રેસના સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાના નિર્ણયે લગભગ ૨૦૦ વૉર્ડમાં BJP વિરોધી મતહિસ્સો અસરકારક રીતે ઘટાડ્યો હતો. મુંબઈમાં કૉન્ગ્રેસ અને શિવસેના (UBT)નું નબળું પ્રદર્શન જે એક સમયે તેમનો ગઢ માનવામાં આવતો હતો એ બન્ને પક્ષ માટે એક મહત્ત્વપૂર્ણ રાજકીય આંચકો માનવામાં આવે છે.
BJP ક્યાં ખાટી ગઈ?
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ BMCની આ ચૂંટણી જીતવા માટે પ્રૉપર સ્ટ્રૅટેજીને વળગી રહ્યા હતા. તેમણે બહુ વિચારીને તેમની સભાઓ અને રોડ-શોનું આયોજન કર્યું હતું એટલું જ નહીં, ચૅનલો પર અને પ્રેસમાં ઇન્ટરવ્યુ તથા ખાણીપીણીની ચોક્કસ જગ્યાએ પબ્લિક જૉઇન્ટ્સ પર જઈને લોકો સાથે કરેલા સંવાદને કારણે તેઓ જનતાને પક્ષના વિચારો સાથે કનેક્ટ કરી શક્યા હતા. પ્રચારના છેક છેલ્લા દિવસે તેમનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેમાં શું ફરક છે અને તેમની કામ કરવાની સ્ટાઇલ કઈ રીતે એકબીજા કરતાં તદ્દન વિરોધાભાસી છે એ બહુ સ્પષ્ટ રીતે દર્શાવ્યું હતું. સાથે જ તેમણે હિન્દુત્વ બાબતે તેમનો અપ્રોચ, તેમની પર્સનાલિટી અને કરપ્શનના આક્ષેપ પણ કર્યા હતા અને એ જ લોકોને સ્પર્શી ગયું હતું અને ત્યાર બાદ પાર્ટીની મીડિયા-ટીમે એને વાઇરલ કર્યું હતું. ઠાકરેબંધુઓએ ‘મરાઠી’નો જે નૅરેટિવ ચલાવ્યો હતો એને હૅન્ડલ કરવા દેવેન્દ્ર ફડણવીસે બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે મુંબઈનો મેયર હિન્દુ અને મરાઠી જ હશે. વળી BJPનો પોતાનો ચોક્કસ મરાઠી મતદાર હોવા છતાં એકનાથ શિંદે સાથે યુતિ કરવાથી એનો ફાયદો થયો અને શિવસેનાના મતદારોના મત પણ તેમને મળ્યા. આમ આ બહુ વિચારીને આંકવામાં આવેલી સ્ટ્રૅટેજીને લીધે BJP એનો ટાર્ગેટ મેળવવામાં સફળ રહી હતી.
ઠાકરેબ્રધર્સ ક્યાં થાપ ખાઈ ગયા?
ઠાકરેબંધુઓએ સાથે આવવાનું જુલાઈ ૨૦૨૫માં નક્કી કરી લીધું હતું, પણ એની સત્તાવાર જાહેરાત ડિસેમ્બર ૨૦૨૫માં કરી હતી. વળી ઉમેદવારને ટિકિટની વહેંચણી પણ નૉમિનેશન ભરવાના છેલ્લા દિવસના એક દિવસ પહેલાં કરી હતી. બન્ને કાકાઈ ભાઈઓએ સાથે મળીને મુંબઈ, થાણે અને નાશિકમાં એક-એક સભા સંબોધી હતી એટલું જ નહીં મુંબઈમાં સ્થાનિક સ્તરે ફક્ત ગણતરીની શાખાઓની જ મુલાકાત લીધી હતી. તેમણે જ્યારે પદાધિકારીઓની બેઠક બેલાવી હતી એ પછી તેમણે ગ્રાઉન્ડ લેવલ પર જઈને તેમની સાથે સંપર્ક વધારવો જોઈતો હતો. તેમના પ્રચારમાં પણ ખાતરીનો અભાવ વર્તાતો હતો અને જાણે હાફ-હાર્ટેડ્લી પ્રચાર થતો હોય એવું જણાયું હતું. ઠાકરેબંધુઓએ ભાષાના મુદ્દાને ચગાવ્યો હતો અને તેમને લાગ્યું હતું કે મરાઠીઓના મત જીત મેળવવા માટે પૂરતા છે. તેમણે મુંબઈગરાઓની સમસ્યાનો ઉકેલ લાવવા પર ઓછું ધ્યાન આપ્યું એને કારણે તેમણે કરેલી અપીલમાં દમ નહોતો.
|
BMCનું ફાઇનલ રિઝલ્ટ |
||||
|
પાર્ટીનું નામ |
વિજયી ઉમેદવાર |
મળેલા મત |
કુલ મતદાનના ટકા |
ઉમેદવારના મતની ટકાવારી |
|
BJP |
૮૯ |
૧૧,૭૯,૨૭૩ |
૨૧.૫૮ |
૪૫.૨૨ |
|
(UBT) |
૬૫ |
૭,૧૭,૭૩૬ |
૧૩.૧૩ |
૨૭.૫૨ |
|
શિવસેના |
૨૯ |
૨,૭૩,૩૨૬ |
૫.૦૦ |
૧૦.૪૮ |
|
કૉન્ગ્રેસ |
૨૪ |
૨,૪૨,૬૪૬ |
૪.૪૪ |
૯.૩૧ |
|
AIMIM |
૮ |
૬૮,૦૭૨ |
૧.૨૫ |
૨.૬૧ |
|
MNS |
૬ |
૭૪,૯૪૬ |
૧.૩૭ |
૨.૮૭ |
|
NCP |
૩ |
૨૪,૬૯૧ |
૦.૪૫ |
૦.૯૫ |
|
સમાજવાદી પાર્ટી |
૨ |
૧૫,૧૬૨ |
૦.૨૮ |
૦.૫૮ |
|
NCP (SP) |
૧ |
૧૧,૭૬૦ |
૦.૨૨ |
૦.૪૫ |
|
કુલ |
૨૨૭ |
૨૬,૦૭,૬૧૨ |
૪૭.૭૨ |
૧૦૦.૦૦ |
|
કુલ મતદાન ૫૪,૬૪,૪૧૨ |
||||
|
કુલ ટપાલ-મતદાન ૧૧,૬૭૭ |
||||
AIMIMની મોટી જીત: મહારાષ્ટ્રમાં
૧૧૬ બેઠક મેળવી, જેમાંથી મુંબઈમાં ૮
૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઑલ ઇન્ડિયા
મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ કુલ ૧૧૬ બેઠકો પર જીત મેળવી છે. AIMIMએ છત્રપતિ સંભાજીનગરમાં ૩૩, માલેગાવમાં ૨૧, અમરાવતીમાં ૧૫, નાંદેડમાં ૧૩, ધુળેમાં ૧૦, સોલાપુરમાં ૮, મુંબઈમાં ૮, થાણેમાં પાંચ, જાલનામાં બે અને ચંદ્રપુરમાં એક બેઠક પર જીત મેળવી છે. મુંબઈમાં દરેક બેઠક પર વિજય મેળવવામાં AIMIM સફળ રહી છે.