17 January, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (તસવીરો: સૈયદ સમીર અબેદી)
રાજ્યની ૨૯ મહાનગરપલિકાઓમાં યોજાયેલી ચૂટણીનાં પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના હેડક્વૉર્ટર સામે કાર્યકરો, નેતાઓ અને જીતેલા ઉમેદવારોને સંબોધતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓમાંથી મુંબઈ સહિત પચીસ મહાનગરપાલિકામાં મહાયુતિ અને BJP એના પાર્ટનર પક્ષો સાથે સત્તા પર આવશે. આ એક રેકૉર્ડબ્રેક મૅન્ડેટ છે. BJPએ જનતા સામે વિકાસનો એજન્ડા મૂક્યો હતો અને લોકોએ એમાં વિશ્વાસ મૂકીને અમને જિતાડ્યા છે. લોકોને વિકાસ અને પ્રામાણિકતામાં રસ છે. અમે અમારા વિકાસના એજન્ડાને વળગી રહીશું. હિન્દુત્વ એ અમારો આત્મા છે અને દેશમાં રહેનાર દરેક જે હિન્દુ સંસ્કૃતિને માને છે તે અમારી સાથે છે. અમારું હિન્દુત્વ સંકુચિત નહીં પણ વ્યાપક છે. કાર્યકરોએ તેમ જ જીતેલા ઉમેદવારોએ ઉન્માદમાં રાચવું નહીં અને જવાબદાર બનીને, પારદર્શકતાથી, પ્રામાણિકપણે હવે જવાબદારી નિભાવવાની છે.’