16 November, 2025 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ લોકલ ટ્રેન નેટવર્કમાં ટ્રૅક, ઓવરહેડ વાયર અને સિગ્નલના સમારકામ માટે રવિવારે ત્રણેય રેલવેલાઇનમાં બ્લૉક રાખવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને વિદ્યાવિહાર વચ્ચે સવારે ૧૦.૫૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો ટ્રૅક પર મેગા બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન CSMT અને વિદ્યાવિહાર સુધી અપ અને સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે, જે ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા જેવાં મર્યાદિત સ્ટેશનો પર ઊભી રહેશે.
કુર્લા અને વાશી વચ્ચે ચાલતી હાર્બર લાઇનની ટ્રેનો સવારે ૧૧.૦૫થી સાંજે ૪.૦૫ વાગ્યા સુધી બંધ રહેશે. બ્લૉક દરમ્યાન CSMT-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેમાં બોરીવલીથી રામ મંદિર સ્ટેશન વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર તેમ જ રામ મંદિરથી ગોરેગામ વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી પાંચ કલાકનો જમ્બો બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન અપ ફાસ્ટ ટ્રેનો બોરીવલી અને અંધેરી વચ્ચે સ્લો લાઇન પર ચાલશે, જ્યારે ડાઉન ફાસ્ટ ટ્રેનો અંધેરી અને ગોરેગામ વચ્ચે સ્લો લાઇન પર દોડશે. બ્લૉક દરમ્યાન અમુક ટ્રેનો શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને અમુક ટ્રેનો રદ કરવામાં આવશે.